લીલકા નદી ઉપરનો જૂનો બ્રિજ ભયજનક : ઉપયોગ બંધ કરાયો
- ધંધુકા-ભાવનગર રોડ પર નાના-મોટા વાહનો માટે ડાયવર્ઝન અપાયું
- વાહન ચાલકોને આ બ્રિજની બાજુમાં ઉપરવાસમાં આવેલા નવા બ્રિજ પરથી પસાર થવાનું રહેશે
અમદાવાદથી ભાવનગર વાયા ધંધુકા, બરવાળા, વલ્લભીપુરને જોડતાં સ્ટેટ હાઈ-વે ૩૬ પર આવેલી લીલકા નદી પર બ્રિજ છે જે લાંબા સમયથી જર્જરિત છે, હાલ બ્રિજ રિપેરિંગ યોગ્ય ન હોવાથી તેનું પુનઃનિર્માણ કરવા સરકારના સંબંધિત વિભાગે ભલામણ કરી છે. બીજી તરફ, બ્રિજની જર્જરિત સ્થિતિને ધ્યાને લઈ બોટાદ જિલ્લા કલેકટરે તાકિદની અસરથી આ બ્રિજ પરથી વાહન વ્યવહાર બંધ કરવા સૂચના આપી છે. તેમણે જાહેરનામું પ્રસિદ્ધ કરી જણાવ્યું કે, લીલકા નદી પરના જર્જરિત બ્રિજની ભયજનક સ્થિતિને જોતાં આ બ્રિજના વાહન વ્યવહારને ડાયવર્ટ કરાયો છે. હવે વાહનચાલકોએ આ બ્રિજની બાજુમાં ઉપરવાસમાં આવેલ નવા બ્રિજ પરથી પસાર થવાનું રહેશે. બીજી તરફ, આ બ્રિજને તાકિદની અસરથી નવો બનાવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જો કે, નવો બ્રિજ ન બને ત્યાં સુધી આ રસ્તા પરથી પસાર થતાં નાના-મોટા વાહનચાલકોએ નવા અને ડાયવર્ટ થયેલાં રૂટ પર આવેલાં બ્રિજ પરથી પસાર થવાનું રહેશે. ઉલ્લેખનિય છે કે, હાલ આ રસ્તા પર સતત વાહનોના ટ્રાફિક ઉપરાંત સાળંગપુર આવતાં દર્શનાર્થીઓ આ રૂટનો ઉપયોગ કરતા હોય છે. જેના કારણે બ્રિજ પર વાહન વ્યવહાર વધતાં અકસ્માતની સંભાવના સેવાઈ છે. જેની આગતચેતીરૂપે તંત્રએ આ કાર્યવાહી કરી છે. જો કે, બ્રિજ પૂર્વે બન્ને બાજૂ ડાયવર્ઝનનું બોર્ડ મારવા રાજ્યના માર્ગ અને મકાન વિભાગને સૂચના પણ આપી દેવાઈ છે.