ધંધા માટે ૨ ટકા વ્યાજે લીધેલા 1કરોડ સામે 1.41 કરોડ ચૂકવ્યા પછી પણ ધમકી

વડોદરાઃ ફતેગંજમાં રહેતા અને અગાઉ ગોરવામાં બેન્ક્વેટ અને રેસ્ટોરાં ચલાવતા સંચાલકે ધંધા માટે વ્યાજે લીધેલા પૈસા પાછા આપી દીધા હોવા છતાં વ્યાજખોરોએ ધમકી આપી દુકાનનો સામાન કબજે કરી લેતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ફતેગંજના મહેરાજ રેસિડેન્સી ખાતે રહેતા મૂળ બનાસકાંઠાના વતની ઇમ્યિયાઝઅલી મેરડીયાએ પોલીસને કહ્યું છે કે,વર્ષ-૨૦૨૦માં મેં દિનેશભાઇ પરમાર પાસે ગોરવામાં ભાડે જગ્યા લઇ રેસ્ટોરાં અને બેન્ક્વેટ ચાલુ કર્યો હતો.જેના માટે મેં દિનેશ પરમાર પાસેથી ૨ ટકા લેખે રૃ.૧કરોડ વ્યાજે લીધા હતા.
મેં કુલ રૃ.૧.૪૧ કરોડ પરત કર્યા હોવા છતાં દિનેશભાઇ અને તેના સાગરીત દિપકભાઇ મને ખોટા કેસોમાં ફસાવી દેવાની અને ઉઠાવી જવાની ધમકી આપતા હતા.તેમણે મારી દુકાનમાંથી ૬૦ લાખનો સામાન પણ કબજે કર્યો હતો.
હાલમાં હું કોઇ કામધંધો કરતો નથી.તેમ છતાં મને હેરાનગતિ કરવામાં આવી રહી છે. જેથી સયાજીગંજ પોલીસે દિનેશ નાથાભાઇ પરમાર(સત્યમ ટેનામેન્ટ,કરોડિયા રોડ) અને તેના સાગરીત દિપક સામે વ્યાજ વસૂલીની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.









