Get The App

માતર તાલુકાના ચકચારી જમીન પ્રકરણમાં સાચા ખેડૂતને બિન-ખેડૂત ઠેરવવાના અધિકારીઓના કૌભાંડનો પર્દાફાશ

Updated: Dec 25th, 2025

GS TEAM

Google News
Google News
માતર તાલુકાના ચકચારી જમીન પ્રકરણમાં સાચા ખેડૂતને બિન-ખેડૂત ઠેરવવાના અધિકારીઓના કૌભાંડનો પર્દાફાશ 1 - image

- વર્ષ 2022માં તત્કાલીન મહેસૂલ મંત્રીના આદેશ બાદ તપાસમાં આવેલું જમીન પ્રકરણ ફરી ચર્ચામાં

- કલેક્ટરે પુરાવાઓના આધારે ખેડૂતનું નામ ૭/૧૨માં પુનઃ સ્થાપિત કરવાનો હુકમ કરતા ભ્રષ્ટ અધિકારીઓ ખુલ્લાં પડયાં : જવાબદારોની વિરુદ્ધ કાર્યવાહીની માગણી 

નડિયાદ: ખેડા જિલ્લાના માતર તાલુકાના ચકચારી જમીન પ્રકરણમાં મહેસૂલ વિભાગના અધિકારીઓની ભ્રષ્ટ મિલીભગતનો પર્દાફાશ થયો છે. જેમાં વર્ષ ૧૯૩૦થી ખેડૂત હોવાના પુરાવા હોવા છતાં એક સાચા ખેડૂતને બિન-ખેડૂત જાહેર કરી દેવાયા હતા. આ અન્યાય સામે લાંબી લડત ચલાવનાર ખેડૂતે આક્ષેપ કર્યો છે કે, તપાસના નામે ૪૫૦ જેટલા શંકાસ્પદ ખેડૂતોને ક્લીનચિટ આપી દેવામાં આવી છે. અંતે કલેક્ટરે ખેડૂતના દસ્તાવેજોની સત્યતા સ્વીકારીને તેમના નામ રેકોર્ડ પર પુનઃ સ્થાપિત કરવાનો હુકમ કરતા જવાબદાર અધિકારીઓની પોલ ખુલ્લી પડી ગઈ છે.

ખેડા જિલ્લાના માતર તાલુકામાં વર્ષ ૨૦૨૨માં તત્કાલીન મહેસૂલ મંત્રીના આદેશ બાદ તપાસમાં આવેલું જમીન પ્રકરણ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે, જ્યાં સાચા ખેડૂત મોહસીનભાઈ શેખને અન્યાય થતા તેમણે અધિકારીઓના ભ્રષ્ટાચાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. મોહસીનભાઈ પાસે પેઢી દર પેઢીના ખેડૂત હોવાના સચોટ દસ્તાવેજી પુરાવા ઉપલબ્ધ હોવા છતાં, જમીન સુધારણા અધિકારી વિમલ ચૌધરી, મામલતદાર વી. પી. પુરોહિત અને નાયબ મામલતદાર હર્ષદ પરમારે સત્તાનો દુરુપયોગ કરી તેમને બિન-ખેડૂત ઠેરવી તેમની કિંમતી જમીન 'શ્રી સરકાર' કરી દીધી હોવાનો આક્ષેપ કરાયો છે. તપાસ દરમિયાન અંદાજે ૫૦૦ જેટલા શંકાસ્પદ ખેડૂતોની ખરાઈ કરવાની હતી, જેમાંથી માત્ર ૫૦ લોકોને જ બિન-ખેડૂત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે બાકીના ૪૫૦ જેટલા અરજદારોને શંકાસ્પદ રીતે ખેડૂત તરીકે માન્ય રાખી દેવાયા છે. આ પ્રક્રિયામાં મામલતદાર દ્વારા પૂરતી ચકાસણી કર્યા વિના જ ૮૦-સી મુજબની નોટિસો ફટકારીને સાચા ખેડૂતોને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

તંત્રની આ જોહુકમી અને અન્યાયથી કંટાળીને મોહસીનભાઈએ ગત ૨૧ નવેમ્બર ૨૦૨૪ના રોજ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેઓ ૭૨ કલાક સુધી આઈસીયુમાં મૃત્યુ સામે જંગ લડયા બાદ બચી ગયા હતા. હોસ્પિટલમાંથી બહાર આવ્યા પછી તેમણે હિંમત હાર્યા વિના આરટીઆઈ હેઠળ જરૂરી તમામ પુરાવાઓ એકત્રિત કર્યા અને કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી કે, તેઓ વર્ષ ૧૯૩૦થી ખેડૂત ખાતેદાર છે. કલેક્ટરે આ પુરાવાઓની ગંભીરતાથી નોંધ લઈ માત્ર ૫ મહિનાના ટૂંકા ગાળામાં મોહસીનભાઈને ખેડૂત ઠેરવી તેમના ૭/૧૨ના ઉતારામાં નામ પુનઃ સ્થાપિત કરવાનો હુકમ કર્યો છે. 

ત્યારે ઉપરોક્ત અધિકારીઓએ આથક લાભ મેળવવા કે અન્ય કોઈ મિલીભગતથી સાચા ખેડૂતને હેરાન કર્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યાં છે. હવે પીડિત ખેડૂતે આ ત્રણેય  અધિકારીઓ સામે તાત્કાલિક કડક શિક્ષાત્મક પગલાં લેવાની માંગ કરી છે અને જો સરકાર તેમને બચાવવાનો પ્રયાસ કરશે તો ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી કાયદેસરની લડત લડવાની ચિમકી ઉચ્ચારી છે.

- ખેડૂતે કોર્ટમાં જવાની ચિમકી ઉચ્ચારી

જમીન પ્રકરણમાં સંડોવાયેલા અધિકારીઓ સામે કડક પગલાં લેવા ખેડૂતની માંગણી છે. મોહસીનભાઈએ જણાવ્યું છે કે, વિમલ ચૌધરી, મામલતદાર પુરોહિત અને હર્ષદ પરમાર સામે જો શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં બીજા કોઈ નિર્દોષ અને સાચા ખેડૂતને આવી હાલાકી અને માનસિક યાતના ભોગવવી ન પડે તે માટે આ લડત ચાલુ રહેશે. તેમજ હાઈકોર્ટ સુધી મામલો લઈ જવાની પણ ચિમકી ઉચ્ચારી છે.

- વર્ષ 2022માં કૌભાંડ સામે આવ્યું હતું

૬ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ રાજ્ય સરકારના તત્કાલિન મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ માતર મામલતદાર કચેરીમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન કુલ ૧૭૩૦ જેટલી ફેરફાર નોંધોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી ૬૨૮ નોંધ શંકાસ્પદ જણાઈ હતી. પ્રાથમિક તપાસમાં અંદાજે ૨,૦૦૦ વીઘા જેટલી જમીન બોગસ ખેડૂતોએ ખરીદી હોવાનું બહાર આવ્યું હતું. આ જમીનોની અંદાજિત બજાર કિંમત ૨૦૦ કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી હતી. મંત્રીએ તે સમયે ખાતરી આપી હતી કે, 'સાચા ખેડૂતને દંડ નહીં થાય અને ખોટા વ્યક્તિ બચશે નહીં'. જોકે, મોહસીનભાઈ શેખના કિસ્સામાં સામે આવ્યું છે કે, અધિકારીઓએ આ તપાસનો ગેરલાભ લઈ સાચા ખેડૂતને અન્યાય કર્યોે હતો, જેને હવે કલેક્ટરે સુધાર્યોે છે.