- એલીસીબીએ ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો
- દુકાનમાં કામ કરતા શખ્સે નવી દુકાન શરુ કરતા ધંધાકીય અદાવત રાખી હત્યા કરી નાખી
સાણંદ : સાણંદ તાલુકાના મોરૈયા ગામમાં બે દિવસ પહેલા થયેલી હત્યાનો કેસ અમદાવાદ અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચએ ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે. હેર સલુનની દુકાનમાં કામ કરતા યુવકે પોતાની નવી દુકાન ચાલુ કરતા આરોપીએ અદાવત રાખી હત્યા કરવામાં આવી છે. આરોપી હત્યાના કાવતરા સાથે જ મૃતકને મળવા આવ્યો હોવાનું સામે આવ્યું છે. એલસીબીએ આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ચાંગોદર પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે.
સાણંદ તાલુકાના મોરૈયા ગામમાં ગત ૬ નવેમ્બરના રોજ મંગલમ શોપિંગ સેન્ટરના રૂમ નં. ૩૦૫માંથી અમરનાથ નાઈ નામના વ્યક્તિની ઘાતકી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. હત્યારાએ અમરનાથના પેટમાં છરીના ઘા ઝીંકી આંતરડા બહાર કાઢી નાખ્યા હતા અને ગળા પર ઊંડો ઘા મારી તેનું સ્થળ પર જ મોત નીપજાવ્યું હતું. આ ઘટનાના પગલે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સાણંદ પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.
પોલીસ તપાસમાં આરોપીની ઓળખ બંશીલાલ ઉર્ફે બુલ્લીયા ધનપત ભૈરારામ મહેરા (રહે. સોમનાથ સોસાયટી, મોરૈયા ગામ, મુળ રહે. લીલકી ગામ,.તા.રાજગઢ જી.ચુરુ, રાજસ્થાન) તરીકે થઈ છે. તેને મોરૈયા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, મૃતક અમરનાથ મોરૈયા ગામમાં રહેતા મામા રમેશ તેલીના ઘરે આવ્યો હતો. તેમણે અમરનાથને બંશીલાલની હેર સલૂનની દૂકાનમાં નોકરી રાખ્યો હતો. જ્યાં બંને વચ્ચે વિખવાદ થતાં અમરનાથે નવું સલૂન શરુ કર્યું હતું. જેની અદાવત રાખી બંશીલાલે અમરનાથની હત્યા કરી હતી.
સીસીટીવી ફૂટેડમાં ભાંડો ફૂટયો
હત્યાને લઈને પોલીસે બનાવ સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. જેમાં રાત્રીના ૧૧ વાગ્યાની આસપાસ અમરનાથ નાઈ અને બંશીલાલ મહેરા બંન્ને મંગલમ શોપીંગ સેન્ટરમાં પ્રવેશતા જોવા મળે છે. બાદમાં આશરે ૧૧.૧૫ વાગ્યાની આસપાસ બંશીલાલ મહેરા એકલો મંગલમ શોપીંગ સેન્ટરમાંથી દોડીને બહાર જતો જોવા મળે છે. જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ કરતા મૃતકે પોતાની દુકાન કરી હોવાથી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.


