Get The App

જામનગરની ગાયનેક હોસ્પિટલમાં હેવી એનેસ્થેશિયા ડોઝ લઈ નર્સનો આપઘાત

Updated: Oct 30th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરની ગાયનેક હોસ્પિટલમાં  હેવી એનેસ્થેશિયા ડોઝ લઈ નર્સનો આપઘાત 1 - image

મૂળ માળિયાહાટીનાની યુવતી ઓપરેશન થિએટરમાં બેભાન પડી હતી : પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હાથમાં એનેસ્થેશિયા ઈન્જેક્શન લીધાનું ખુલ્યું, : વિશેષ તપાસ માટે વિસેરા લેબ પૃથક્કરણ માટે મોકલાયા

જામનગર,તા. : અહીના વાલકેશ્વરી વિસ્તારમાં આવેલી કેશવ વુમન્સ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી માળિયા હાટીના તાલુકાના તરસિંગડા ગામની અઠયાવીસ વર્ષીય કોમલબેન હરેશભાઈ ભીમાણી નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ઓપરેશન થિએટરમાં એનેસ્થેશિયાનો હેવી ડોઝ ઈન્જેકશન લઈ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે.

આ યુવતી ખાનગી હોસ્પિટલના ઓપરેશન થિએટરમાં બેભાન અવસ્થામાં પડેલી મળી આવી હતી. આ જોતા જ તેની સાથે ફરજ બજાવતી સ્ટાફ નર્સે નર્સિંગ હોમના ડો.પૂનમબેન કેશુભાઈ કોડીનારિયાને જાણ કરતા તેઓ તાબડતોબ નર્સિંગ હોમ પર આવી પહોંચ્યા હતા. તેણે અન્ય ખાનગી તબીબોને બોલાવી પ્રાથમિક સારવાર આપવા તૈયારી કરી હતી. 

જો કે તબીબોએ મૃત્યુ પામેલી જાહેર કરી હતી. આ બનાવ અંગે ડો.પૂનમબેને જામનગર સિટી બી ડિવિઝન પોલીસ મથકને જાણ કરતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને કોમલબેનના મૃતદેહનો કબજો સંભાળી  જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એનેસ્થેશિયાનો ડોઝ લેતા મૃત્યુ થયાનું કારણ બહાર આવ્યું હતું. મૃતકના વિસેરા પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. મૃતક યુવતીનો મૃતદેહ તેના પિતા હરેશભાઈ ભીમાણીેએ સંભાળી વતનમાં લઈ ગયા હતા. આ બનાવ અંગે ચકચાર મચી છે. વિસેરા રિપોર્ટ આવ્યે વધુ વિગત બહાર આવશે. આ બનાવ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.