મૃતદેહ શોધતા કેટલાક મોબાઇલની રિંગો વાગી
કાટમાળમાંથી મોબાઇલ,દાગીના, આધાર કાર્ડ સહિતના પુરાવા મળ્યા
જ્વેલરી અને લેપટોપ અર્ધ બળેલી હાલતમાં મળ્યા
અમદાવાદ, શુક્રવાર
વિમાન દુર્ઘટના સ્થળેથી મૃતદેહ શોધતી વખતે કેટલાક પેસેન્જરના મોબાઇલ તથા લેપટોપ, દાગીના અને આધાર કાર્ડ સહિતના પુરાવા અર્ધ બળેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે એકત્ર કરીને તે દિશામાં તપાસ હાથ ધરી છે. જે મોબાઇલ મળ્યા છે તેમાં સગા અને સંબંધીઓના અનેક મિસ કોલ, મેસેજ આવેલા હતા.
કાટમાળ ખસેડવા આખીરાત જહેમત ઉઠાવી, જ્વેલરી અને લેપટોપ અર્ધ બળેલી હાલતમાં મળ્યા
એરપોર્ટથી વિમાન ઉડયાની ગણતરીની મિનિટોમાં મેઘાણીનગરમાં દુર્ધટના સર્જાતાની સાથે સળગી ઉઠયું હતું. જેના કારણે પેસેન્જરો સહિત અનેક વ્યકિતઓના મોત થયા હતા. મૃતદેહો કાઢવા માટે સરકારી તંત્ર દ્વારા કાલે બપોરથી લઇને આખારીત સુધી ભારે જહેતમ ઉઠાવી હતી. જેમાં મોડી રાતે વિમાનના કાટમાળ નીચેથી મુસાફરી કરી રહેલા કેટલાક મૃતકોના મોબાઇલની રિંગો વાગી હતી પોલીસે અનેક મોબાઇલ કબજે કર્યા હતા જેમાં મૃતકોના સગા અને સંબંધીના અનેક મિસ કોલ અને મેસેજ આવેલા હતા.
બીજીતરફ લેપટોપ અને સોના ચાંદીના દાગીના તથા રોકડા રૃા. ૫૦ હજાર તથા આધાર કાર્ડ સહિતના પુરાવા મળી આવ્યા હતા. આખો દિવસ આગને કાબુમાં લેવા માટે સતત પાણીનો મારો ચલાવ્યો હોવાથી દાગીના કાળા પડી ગયા હતા અને આઇ કાર્ડ સહીતના પુરાવા તથા મોબાઇલ પણ અર્ધ બળેલી હાલતમાં હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.