જાંબુઘોડા અને રતનમહાલ અભયારણ્યમાં દીપડા, ઝરખ, ચોસિંગા અને જંગલી બિલાડીઓની સંખ્યા બમણી થઈ
ઝરખ છેલ્લા ઘણા સમયથી જોખમ હેઠળની શ્રેણીમાં આવી ગયું છેઃ તેની સંખ્યામાં વધારો આશાસ્પદ છે
વડોદરા: કોરોના મહામારીને કારણે થયેલા લોકડાઉનના લીધે જંગલોમાં માનવ દખલ ઓછી થતા છેલ્લા એક વર્ષમાં મધ્યગુજરાતના જાંબુઘોડા અને રતનમહાલ અભયારણ્યોની ત્રણેય રેન્જમાં ઝરખ, ચોસિંગા, જંગલી બિલાડી, નીલગાય, સસલાની સંખ્યામાં બમણો વધારો થયો છે.
વન વિભાગ વડોદરા દ્વારા તા.૨૯ અને ૩૦ મે ના રોજ જાંબુઘોડા અને રતનમહાલના જંગલોમાં વન્યપ્રાણીઓની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગત વર્ષે જાંબુઘોડામાં ઝરખની સંખ્યા ૩૮, શિવરાજપુરમાં ૧૧ અને કંજેટામાં ૩૮ સાથે કુલ ૮૭ નોંધાઈ હતી જ્યારે આ વર્ષે જાંબુઘોડામાં ૫૪, શિવરાજપુરમાં ૨૭ અને કંજેટામાં ૪૨ સાથે કુલ ૧૨૩ થઈ છે.વર્ષ ૨૦૧૯માં તો તેની સંખ્યા માત્ર ૭૭ જ હતી.
જંગલી બિલાડીની સંખ્યા ૩૪માંથી ૪૦, લોકડી ૮માંથી ૧૭, ચોસિંગા ૪૬માંથી ૮૦, જંગલી ભૂંડ ૩૧૭માંથી ૯૯૧, વાંદરા ૧૩૫માંથી ૭૨૧, સસલા ૨૮માંથી ૩૪૮, દીપડાની ૮૧માંથી ૮૮ અને નીલગાયની સંખ્યા ૬૦માંથી ૩૪૯ નોંધાઈ છે. જો કે રીંછની સંખ્યામાં થોડોઘણો ઘટાડો જોવા મળ્યો હતો. ગત વર્ષે રીંછની વસતી ૮૬ હતી જ્યારે આ વર્ષે ૮૨ નોંધાઈ છે, હાલ સૌથી વધારે રીંછ કંજેટાના જંગલોમાં જોવા મળી રહ્યા છે.
વન વિભાગના અધિકારીએ કહ્યું કે સતત બીજા વર્ષે પટ્ટાવાળા ઝરખની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે જે નોંધનીય છે કારણકે મૃત પ્રાણીભક્ષી આ વન્યજીવ છેલ્લા ઘણા સમયથી જોખમ હેઠળની શ્રેણીમાં આવી ગયું છે. ઝરખ મજબૂત જડબા ધરાવતું હોવાથી ગમે તેવા મજબૂત અને જાડા હાડકાને ચાવી શકે છે. તે ક્યારેય જાતે શિકાર કરતું નથી અન્ય પ્રાણીઓ દ્વારા શિકાર કરેલ ખોરાક તે ખાય છે. ઝરખ વધુ આક્રમક સ્વભાવ ધરાવતું હોવાથી જ્યારેે તેની અને દીપડા વચ્ચે લડાઈ થાય ત્યારે દીપડાએ જ પીછેહઠ કરવી પડે છે.
ઝરખ માનવ દખલથી ખૂબ ગભરાય છે
વન વિભાગના અધિકારીએ કહ્યું કે ઝરખ ખૂબ શરમાળ પ્રકૃતિની પ્રાણી હોવાથી માનવ દખલથી તે ખૂબ ગભરાય છે. જંગલની વચ્ચેથી પસાર થતા રસ્તામાં સતત અવર-જવર કરતા વાહનોના ઘોંઘાટ અને પ્રકાશથી તે ભય હેઠળ જીવે છે અને કેટલીવાર રસ્તો ઓળંગવા જતા અકસ્માતનો ભોગ બનતા હોવાથી તેઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.