Gujarat

નર્મદા કિનારે જમીન અપાવનાર વકીલને ચૂકવેલી ફી પાછી આપવા NRI દ્વારા ધમકી,5 લાખ પાછા લીધા

By GS TEAM
26 May 20262 mins read
નર્મદા કિનારે જમીન અપાવનાર વકીલને ચૂકવેલી ફી  પાછી આપવા NRI દ્વારા ધમકી,5 લાખ પાછા લીધા

વડોદરાઃ કરજણમાં નર્મદા કિનારે જમીન લેનાર એનઆરઆઇને જમીનનો સોદો તેમજ એનએ કરવા સુધીની પ્રોસિજર કરી આપનાર વકીલ પાસે એનઆરઆઇએ ફી પરત લેવા માટે ઓફિસમાં ઉત્પાત મચાવતાં આખરે વકીલે રૃ.૫ લાખ પરત આપી અકોટા પોલીસ સ્ટેશનમાં એનઆરઆઇ સામે ફરિયાદ નોંધાવી છે.

ઇલોરાપાર્કના વ્હાઇટ ઓક કોમ્પ્લેક્સમાં રહેતા વકીલ મનીષચંદ્ર દીક્ષિતે પોલીસને કહ્યું છે કે,ઓક્ટોબર-૨૦૨૫માં મારે એનઆરઆઇ રાકેશ નાયક સાથે સંપર્ક થયો હતો.રાકેશભાઇને નર્મદા કિનારે તેમના ભાવે જમીન જોઇતી હોવાથી મેં કરજણના કોઠીયા ખાતે જમીનનો સોદો કરાવી આપ્યો હતો અને ત્યારબાદ જમીન એનએ કરવાની પ્રોસિજર કરી તમામ વિધિ પૂર્ણ કરી હતી.જે બદલ તેમણે મને ફી ચૂકવી હતી.

ત્યારબાદ તા.૧૫મી ડિસેમ્બરે રાકેશ નાયક તેમના ત્રણ સાગરીતો સાથે કોર્ટ સામે આવેલી મારી ઓફિસે આવ્યા હતા અને ફી વધારે લીધી છે,પાછી આપો..તેમ કહી ઠગાઇના આક્ષેપ કર્યા હતા અને સ્ટાફની સામે ગાળો ભાંડી હતી.

વકીલે કહ્યું છે કે,આવી રીતે વારંવાર ઓફિસે આવીને મને પર્સનલ અને પ્રોફેશનલ નુકસાન થાય તે માટે દબાણ કરતાં મેં રૃ.૫ લાખ પરત કર્યા હતા.ત્યારપછી પણ તેમણે વધુ રકમ માગી ગેરવર્તણૂક ચાલુ રાખી હતી. અકોટા પોલીસે આ અંગે રાકેશ અરવિંદભાઇ નાયક(દર્શનમ સ્પેન્ડરા,વાસણા-ભાયલી રોડ,વડોદરા મૂળ અમલસાડ નવસારી) અને ત્રણ સાગરીત સામે બળજબરી પૂર્વક નાણાં પડાવવા બદલ ગુનો નોંધ્યો છે.

NRI નો 99 લાખની ઉચાપતનો વળતો આક્ષેપ 

અમેરિકામાં સ્થાયી થયેલા રાકેશભાઈ નાયકે પત્રકાર પરિષદમાં   જણાવ્યું હતું કે,મારે નર્મદા કિનારે આશ્રમ,મંદિર અને વૃદ્ધાશ્રમ બનાવવા હોવાથી વકીલ મનિષભાઈ દીક્ષિત અને તેમના પુત્ર અભિષેક સાથે સંપર્ક થયો હતો.કોઠીયા ગામની જમીન લેવાનું નક્કી થતાં મેં તેમને સહી કરેલા ચેક આપ્યા હતા.જેના આધારે વકીલે રૃ.૯૯ લાખની રકમ મેળવી લીધી હતી. ત્યારબાદ એનએ, ટીડીએસ કે દસ્તાવેજીકરણની કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી ન હતી.જેથી નાણાં પરત માગતા વકીલ દ્વારા તેમને ધમકી આપાવમાં આવી હતી.આ અંગે અંગે કલેક્ટર, પોલીસ કમિશનર તથા મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી સુધી રજૂઆત કરવા છતાં તેમની ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી.