GPSC Exam : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવામાં આવતી તમામ પરીક્ષામાં પ્રોવિઝનલ આન્સર કી જાહેર કર્યા બાદ આન્સર કીમાં જણાતા વાંધા સૂચનો રજૂ કરાય છે. આ પછી ફાઈનલ આન્સર કી જાહેર કરાય છે. જ્યારે હવે GPSCના ચેરમેન હસમુખ પટેલે પ્રોવિઝનલ આન્સર કીમાં વાંધા સૂચનોની અરજીને લઈને નિવેદન આપી જણાવ્યું છે કે, 'હવે વાંધા સૂચનો માટે પરીક્ષાર્થીઓ પાસેથી ફી લેવાશે.' બીજી તરફ, હસમુખ પટેલના નિવેદન સામે સરકારી ભરતીની તૈયારી કરતા એસ્પીરન્ટે સોશિયલ મીડિયામાં રોષ ઠાલવીને નકારાત્મક પ્રતિક્રિયા આપી છે.
GPSC દ્વારા જાહેર કરવામાં આવતી તમામ પરીક્ષાઓમાં પરીક્ષા લેવાયા બાદ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાય છે અને ત્યારબાદ આન્સર કીમાં જણાતા વાંધાઓ ઉમેદવારો રજૂ કરે છે. જેને ધ્યાનમાં રાખીને GPSCના ચેરમેન હસમુખ પટેલે નિવેદનમાં આપીને પ્રોવિઝનલ આન્સર કીમાં વાંધા સૂચનો માટે ફી લેવાનો નિર્ણય કર્યો છે. આ પ્રક્રિયા ઓનલાઈન માધ્યમથી કરવામાં આવશે.
એક પ્રશ્નદીઠ 100 રૂપિયા ફી ભરવાની રહેશે
GPSCના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું કે, 'હવે તમામ પરીક્ષાઓની અંદર ઓનલાઈન માધ્યમથી વાંધા સૂચનો લેવાશે. જેમાં વાંધા સૂચનો રજૂ કરનારે એક પ્રશ્નદીઠ 100 રૂપિયા ફી ભરવાની રહેશે. ભૂતકાળમાં વાંધા સૂચનો માટે ફી ન લેવામાં આવતી હોવાના કારણે એક જ પ્રશ્નને લઈને ઘણા બધા ઉમેદવારો વાંધા સૂચનો રજૂ કરતા હતા. જેના કારણે વધુ ફિઝિકલ મટિરિયલ હેંડલ કરવાનું થતું અને ભરતીમાં પ્રક્રિયામાં વિલંબ થતો હતો. જેને ધ્યાનમાં રાખીની આ પ્રકારનો નિર્ણય કરાયો છે.'
સોશિયલ મીડિયામાં વિવિધ યુઝર્સની નકારાત્મક પ્રતિક્રિયા
GPSC દ્વારા પ્રોવિઝનલ આન્સર કીમાં વાંધા સૂચનો માટે ફી લેવાના નિર્ણય સામે સરકારી ભરતીની તૈયારી કરતા એસ્પીરન્ટે સોશિયલ મીડિયામાં નકારાત્મક પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયામાં એકે પ્રતિક્રિયા આપી કે, 'વાંધા અરજી માટે રૂ.100 ફી લો એનો વાંધો નહીં.... પણ જો પ્રશ્નમાં ભૂલ છે એ સાબિત થયું તો સામે વિદ્યાર્થીઓને રૂ.200 પાછા આપશો?'

આ પણ વાંચો: અમદાવાદમાં પતિ-પત્નીના ઝઘડામાં દીકરાએ કરી પિતાની હત્યા, ત્રણ દિવસમાં ત્રણ હત્યાના બનાવ
'GPSC એ ધંધો ખોલ્યો'
જ્યારે અન્ય એક એસ્પીરન્ટે પોસ્ટ કરી કે, 'GPSC એ ધંધો ખોલ્યો છે. સંમતિ ભરવામાં 500 રૂપિયા, વાંધા અરજી કરવાના 100 રૂપિયા, કાલે કદાચ નોકરી લાગવાની ફી જાહેર કરશે.....કે નોકરી લાગ્યા બાદ નોકરી લેવી હોય તો પ્રથમ પગાર આયોગને જમા કરાવો.' એક એસ્પીરન્ટે વાંધા અરજીમાં ફી ન હોવાનું કહીને લખ્યું કે, 'જો વાંધા અરજી કરવા ફી ભરવી પડતી હોય તો જેને પેપર સેટ કર્યું એને પણ દંડની જોગવાઇ હોવી જોઈએ.'


