Gujarat

આણંદમાં જર્જરિત 572 દુકાનો અને મકાનો ખાલી કરવા નોટિસ

By GS TEAM
23 Jul 20252 mins read
આણંદમાં જર્જરિત 572 દુકાનો અને મકાનો ખાલી કરવા નોટિસ

- કરમસદ- આણંદ મહાનગરપાલિકા દ્વારા

- મનપા હસ્તકની 478 અને ખાનગી 94 દુકાનો- મકાનોનું સમારકામ કે તોડવા સૂચના : જર્જરિત ખાનગી મકાનો અને દુકાનોના માલિકોએ સ્વખર્ચે 

આણંદ : કરમસદ- આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં જર્જરિત કે ભયજનક ૫૭૨ દુકાનો અને મકાનોને ખાલી કરવા નોટિસ ફટકારાઈ છે. ચોમાસાની ઋતુમાં અકસ્માતનો ભય હોવાથી ત્વરિત ખાલી કરવા સૂચના અપાઈ છે.

કરમસદ- આણંદ મનપાના એસ્ટેટ વિભાગે જણાવ્યું છે કે, મહાનગરપાલિકા વિસ્તારમાં મનપા હસ્તકની ૪૭૮ અને ૯૪ ખાનગી દુકાનદારો અને મકાન માલિકોને દુકાનો, મકાનો ત્વરિત ખાલી કરવા નોટિસ આપી સૂચના અપાઈ છે. 

દુકાનો અને મકાનો જર્જરિત થયેલા હોવાથી ચોમાસાની ઋતુમાં ગમે ત્યારે અકસ્માત થવાનો, રસ્તા પરથી અવરજવર કરતા લોકો કે આસપાસના રહીશોના જાન-માલનું નુકસાન થયા તેવી સ્થિતિ સર્જાય તેવી સંભાવનાને ધ્યાને લઈ નોટિસ અપાઈ છે. ત્યારે ત્વરિત રિપેરિંગ કરવા કે પાડી દેવા પણ જણાવાયું છે. 

કરમસદ- આણંદ મનપા વિસ્તારમાં આવેલી સુપર માર્કેટ સહિત જૂના શાક માર્કેટની દુકાનો, ફ્ટ માર્કેટ, મ્યુનિસિપલ કોર્પોરેશન પાછળની દુકાનો, સરકારી દવાખાના કમ્પાઉન્ડની દુકાનોનો સર્વે કરવાથી ધ્યાનમાં આવ્યું છે કે, આ દુકાનો જર્જરિત હોવાથી જાનહાનિ થાય તે પહેલા તકેદારીના ભાગરૂપે દુકાનો ખાલી કરાવીને તેનું દુરસ્તી કામ કરાવવાની તાકીદની જરૂરિયાતને ધ્યાને લઈને દુકાનદારોને દુકાન ખાલી કરવા માટે અને કબજો મનપાને સોંપવા નોટિસ આપવામાં આવી છે.  મહાનગરપાલિકા દ્વારા જીપીએમસી એક્ટ મુજબ કાયદાની જોગવાઈને આધીન કુલ ૫૭૨ જેટલા દુકાનદારોને નોટિસ આપવામાં આવી છે, તે પૈકી ખાનગી દુકાન અને મકાનો કે જે જર્જરીત થયેલા છે, તે દુકાન કે મકાન માલિકો સ્વખર્ચે દુકાન કે મકાન દુરસ્તી કામ કરાવે તે ખૂબ જ જરૂરી હોય તકેદારીના ભાગરૂપે તેમને પણ નોટીસ આપવામાં આવી છે.