કપડવંજમાં 20 થી વધુ જર્જરિત મિલકતો ઉતારી લેવા નોટિસ
- નગરપાલિકા તંત્ર મોડે મોડે જાગ્યું
- ગત વર્ષે જર્જરિત મકાન પડતા લેટર ગામની રાહદારી સગીરાનું મોત થયું હતું
કપડવંજ : કપડવંજ નગરપાલિકા ભારે વરસાદની આગાહીને લઈને મોડે મોડે જાગીને ૨૦થી વધુ જર્જરિત મિલકતોને ઉતારી લેવા માટે નોટિસો ફટકારી છે.
કપડવંજ પાલિકાના ચિફ ઓફિસરે નોટિસો ફટકારીને જણાવ્યું છે કે, મિલકત માલિક દ્વારા તાત્કાલિક જર્જરિત મકાન ઉતારી લેવા, જો તેમ કરવામાં કસુર થશે તો મકાન પડવાને કારણે કોઈ જાનહાનિ થશે તો સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે અને નિયમ અનુસાર ફોજદારી કાર્યવાહી થશે. નોટિસ મળ્યા બાદ તાત્કાલિક અસરથી મકાન ઉતારી લેવાનો આદેશ કરી દીધો છે.
પાલિકાએ ત્યારે કેટલાક વર્ષોથી બહાર ગામ રહેતા કેટલાક મકાન માલિકને નોટિસો પણ મળી નથી. ભાડુઆતને નોટિસો પાઠવી સંતોષ મેળવ્યો હતો.
કપડવંજમાં ગત વર્ષે જર્જરિત મકાન પડતા તાલુકાના લેટર ગામની રાહદારી સગીરાનું મોત થયું હતું. ત્યારે વર્ષોથી બંધ હાલતના મકાન માલિકો નોટિસ મળી ન હોય તો કાયદેસરની જવાબદારી કોની તેવા નગરજનો તેમજ રાહદારીઓમાં આક્ષેપો ઉઠયા છે.