Gujarat

કંપનીઓએ નહીં પણ મ્યુનિસિપલ ડ્રેનેજ વિભાગે જ અમદાવાદમાં આઠ મહીનામાં ૨૨૦ જગ્યાએ ખોદકામ કરી નાંખ્યું

By GS TEAM
20 Jun 20252 mins read
કંપનીઓએ નહીં પણ મ્યુનિસિપલ ડ્રેનેજ વિભાગે જ  અમદાવાદમાં આઠ મહીનામાં ૨૨૦ જગ્યાએ ખોદકામ કરી નાંખ્યું

અમદાવાદ,શુક્રવાર,20 જુન,2025

અમદાવાદના વિવિધ વિસ્તારમાં વિવિધ કંપનીઓને અંડરગ્રાઉન્ડ કેબલ નાંખવા,ગેસ લાઈન નાંખવા જેવી કામગીરી માટે રોડ ખોલવાની મંજુરી કોર્પોરેશન આપે છે.પરંતુ કંપનીઓ સિવાય આઠ મહીનામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રેનેજ વિભાગે જ ૨૨૦ જગ્યાએ રોડ ખોદી નાંખ્યા છે. આ પૈકી ૩૧ જગ્યાએ કામગીરી ચાલે છે. ૨૭ જગ્યાએ કાચા ભાગમાં પુરાણ કરાયુ છે. ચોમાસામાં ભારે વરસાદ થવાથી માટીથી કરાયેલ પુરાણ બેસી જશે.કુલ ૫૮ જગ્યાએ રોડ બેસવાની કે ભુવા પડવાની પ્રબળ સંભાવના છે. શહેરીજનોએ જાતે જ સતર્ક રહેવુ પડે એવી સ્થિતિનુ નિર્માણ થયુ છે.

સ્માર્ટ સીટીનો દરજજો ધરાવતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ડ્રેનેજની સફાઈ, ડ્રેનેજ લાઈનના અપગ્રેડેશન અને નવી ડ્રેનેજ લાઈન નાંખવા પાછળ કરોડો રુપિયાનો ખર્ચ કરવામાં આવે છે.આમ છતાં દર ચોમાસામાં રોડ બેસવાની,ભુવા પડવા તથા ગટરના પાણી બેક મારવાની ઘટનાઓ અધિકારીઓ માટે સાહજિક હોય તેવુ જોવા મળી રહયુ છે.સરકારની ગાઈડલાઈન મુજબ, ૩૦ જુન સુધીમાં રોડ,ગટર અને પાણીના ચાલતા તમામ કામ કાંતો પુરા કરી દેવાના હોય છે અથવા તો ચાલતી કામગીરી અટકાવીને ચોમાસુ પુરુ થાય એ પછી કરાવવાની હોય છે. આ વર્ષોથી ચાલતી પરંપરા છે. આમ છતાં મોટાભાગની કામગીરીના ટેન્ડર ચોમાસાના એક કે બે મહિના પહેલા કરવામા આવતા હોય છે. ઉપરાંત ટેન્ડરમાં એવી શરત મુકાય છે કે,ચોમાસાના ચાર મહિનાને બાદ કરતા આટલા સમયમાં કામગીરી જે તે કોન્ટ્રાકટરે પુરી કરવાની રહેશે.આ એક છટકબારી જે ગોઠવવામાં આવતી હોય છે.હાલમાં પણ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં રોડ ખોદી નાંખવામાં આવ્યા છે. આ કામગીરી કયારે કેવી રીતે પુરી કરાશે એનો જવાબ કામ આપવાવાળા આપી શકતા નથી.

ડ્રેનેજ વિભાગની કામગીરી-કયાં કેટલી પુરી,કેટલી બાકી?

કામગીરી ચાલુ  ૩૧

કામગીરી પુરી  ૧૬૨

માટીથી પુરાણ  ૨૭

કામગીરી ચાલતી હોય એવા મુખ્ય વિસ્તાર

૧. સરસ્વતી હોસ્પિટલથી શાંતિપુરા ચાર રસ્તા

૨. બંધન ટ્રાય એંગલથી એસ.જી.હાઈવે

૩.વસ્ત્રાલ ગામ મેટ્રોથી વસ્ત્રાલ ગાર્ડન સુધી

૪. નિકોલગામથી કેનાલ સુધી

૫. ઓઢવ પમ્પિંગથી વેપારી મહાજન સુધીનો રોડ

૬. ઈસ્કોન આંબલી રોડ

૭.હેબતપુર કેનાલથી એસ.પી.રીંગ રોડ

૮. ગોતા,કેપિટલથી હેબતપુર રોડ

૯. ઘાટલોડીયા, સ્ટ્રોમ વોટર લાઈન

૧૦.શાહીબાગ, ડકટ બ્રેકડાઉન

માટી પુરાણ પૈકીની મહત્વની જગ્યા

૧. વસ્ત્રાલ પોલીસ ચોકીથી એસ.પી.રીંગ રોડ

૨.વસ્ત્રાલ ગામથી ઈસ્ટર્ન ટ્રન્ક મેઈન લાઈન

૩.નિકોલ ગામથી કેનાલ સુધી

૪.અસલાલી સર્કલથી કેનાલ સુધી

૫. સરખેજ ડ્રેનેજથી રેલવે સમાંતર

૬. વસ્ત્રાલ પ્રાયમરી સ્કૂલથી રેસીડન્સ એરીયા

૭. શાંતિપુરા જંકશનથી મેટ્રો મોલ સુધી,સરખેજ

૮. રાધે પેટ્રોલ પમ્પથી ક્રિશ આઈકોનથી ટાંકી,થલતેજ

૯. સનાથલ સર્કલથી ફતેવાડી કેનાલ સુધી

૧૦. એકસપ્રેસ હાઈવેથી રીંગરોડ,રામોલ