બે દિવસમાં નોટિસનો જવાબ ન અપાતા ઓઢવ સ્મશાનગૃહના કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવા તંત્રની કવાયત
ભાજપના પૂર્વ કોર્પોરેટર દ્વારા વહીવટી તંત્ર ઉપર કરાઈ રહેલુ દબાણ
અમદાવાદ,શુક્રવાર,7 નવેમ્બર,2025
ઓઢવ સ્મશાનગૃહ ખાતે ચિતાને અગ્નિદાહ દેતી વખતે
કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે ટાયર મુકી અંતિમ સંસ્કાર કરાયાની ચોંકાવનારી ઘટના
થોડા દિવસ રહેલા બની હતી. આ ઘટના પછી તંત્રે આ સ્મશાનગૃહના કોન્ટ્રાકટરને બે
દિવસમાં ખુલાસો કરવા નોટિસ આપી હતી.કોન્ટ્રાકટરે બે દિવસમા પણ કોર્પોરેશનને કોઈ
જવાબ ન અપાતા તેને બ્લેકલિસ્ટ કરવા કવાયત શરુ કરાઈ છે.ભાજપના પૂર્વ કોર્પોરેટર
મનહર સોલંકી આખા પ્રકરણ ઉપર લીપાપોપી કરવા તંત્ર ઉપર સતત દબાણ કરી રહયા હોવાનુ
સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
મુળ ભાજપના સરસપુર વોર્ડના એક સમયના કોર્પોરેટર મનહર
સોલંકીના વિવેકાનંદ ગ્રામ ઉદ્યોગ સેવા સંઘને શહેરના તેર અલગ અલગ સ્મશાનમાં લાકડા
પુરા પાડવાનો કોન્ટ્રાકટ આપવામા આવ્યો છે.વર્ષ-૧૯૯૫ની ટર્મમા મનહર સોલંકી સરસપુર
વોર્ડમાંથી ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા.ભાજપના સત્તાધીશો છેલ્લા વીસ
વર્ષથી તેમના પૂર્વ કોર્પોરેટરને સ્મશાનમાં લાકડા પુરા પાડવાનો કોન્ટ્રાકટ આંખો
મીચીને આપી રહયા હતા. ઓઢવ સ્મશાન ખાતે બનેલી ઘટના પછી ભાજપની પ્રતિષ્ઠા વધુ ખરડાશે
એમ લાગતા તેમને બે દિવસમાં ખુલાસો કરવા નોટિસ અપાઈ હતી.પોતાને મળેલો કોન્ટ્રાકટ
ચાલ્યો ના જાય એ માટે પૂર્વ કોર્પોરેટર તેમના ટેકેદારો સાથે કોર્પોરેશનની દાણાપીઠ
ખાતે આવેલી મુખ્ય કચેરી ખાતે પહોંચી વર્તમાન હોદ્દેદારોને રજૂઆત કરવા માટે
પહોંચ્યા હતા.ભાજપ શું નિર્ણય કરે છે તે જોવુ રહયુ.

