વરસાદ ગમે તેટલો વરસે પણ પાણી માટે નર્મદાની લાઇન સિવાય બીજો વિકલ્પ નથી
ઝાલાવાડમાં સચરાચર વરસાદ છતાં ચોટીલામાં દોડતા પાણીનાં ટેન્કરો : પાણી પુરવઠા બોર્ડના રાજકોટ ઝોન હેઠળના 1700 ગામોમાં જૂથ યોજના મારફતે નર્મદા જળનું વિતરણ : સ્થાનિક સ્ત્રોત મજબૂત નહીં હોવાથી પાઇપલાઇન એકમાત્ર પાણીનો આધાર
રાજકોટ, : અષાઢ મહિના પહેલાં મેઘરાજાનું સચરાચર આગમન આ વર્ષ થઇ ચૂક્યું છે. અનેક વિસ્તારોમાં ધીંગી મેઘસવારી વરસી રહી હોવા છતાં રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામડાઓને નર્મદાની પાઇપલાઇનમાંથી પાણી આપવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહીં હોવાનું પાણી પુરવઠા બોર્ડના સુત્રોએ જણાવ્યું હતું. વરસાદનાં આગમન પછી હજુ ચોટીલા વિસ્તારના 17 ગામોમાં પણ પાણીના ટેન્કર ચાલુ છે જે અઠવાડિયા-દશ દિવસ બાદ બંધ થાય તેવી સંભાવના છે.
સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મનભરીને વરસી રહ્યા હોવાથી ગામે-ગામ નદીઓ અને તળાવો ઓવરફલો થયા છે. સ્થાનિક કૂવાઓમાં પણ નવા નીર આવ્યા છે. અલબત ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણી માટે નર્મદાના જળ સિવાય હવે કોઇ વિકલ્પ નથી તેમ પાણી પુરવઠા બોર્ડનાં સુત્રોએ જણાવી રાજકોટ ઝોન હેઠળના 1700 જેટલાં ગામડાઓમાં આજે પણ નર્મદા યોજના હેઠળ ધોળીધજા ડેમમાંથી પાઇપલાઇન દ્વારા પાણી આપવામાં આવતું હોવાનું જણાવાયું હતું.
વરસાદને કારણે પાઇપલાઇન દ્વારા થતી પાણી ચોરી અટકી છે પરંતુ વરસાદના આગમન સાથે સ્થાનિક જળસ્ત્રોત મજબૂત રીતે લાંબો સમય ટકી રહેવા જોઇએ તેવું થતું નથી. પરિણામે પાઇપલાઇન ઉપર આધારિત રહેવું પડે છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન વરસાદ વરસતા થોડી રાહત થઇ છે. આગામી દિવસોમાં ઉપલેટા-જેતપુર-ધોરાજી સહિતના વિસ્તારોમાં મોજ, ફોફળ કે વેણુ ડેમમાંથી પીવાનું પાણી અપાશે પરંતુ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ગમ ેતેટલો વરસે તો પણ નર્મદાનું જ પાણી બારે મહિના આપવામાં આવે છે.અન્ય કોઇ વિકલ્પ નહીં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.