સરદાર પટેલ જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય એકતાનો સંદેશ દરેક નાગરિક સુધી પહોંચે તે ઉદેશ્ય સાથે આયોજિત યુનિટી માર્ચ પદયાત્રાના વડોદરા રૂટ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ સાથે નો પાર્કિંગઝોન જાહેર કરાયો છે.
આવતીકાલે તા. ૨૯ નવેમ્બરે સવારે ૮ :૩૦થી બપોરે ૪:૩૦ સુધી તથા તા. ૩૦ નવેમ્બરે સવારે ૮ થી બપોરે ૪:૪૫ સરદાર પટેલ જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે યુનિટી માર્ચપદયાત્રાનું શહેરમાં આયોજન કરાયું છે.
તા. ૨૯ નવેમ્બરે આ પદયાત્રા શેરખીથી ગોત્રી તળાવ, ઇસ્કોન મંદિર, સન ફાર્મા રોડ અને અક્ષરચોક થઈ નવલખી ગ્રાઉન્ડ પહોંચશે. અહીં રાત્રિ રોકાણ બાદ તા. ૩૦ નવેમ્બરે નવલખી ગ્રાઉન્ડથી દાંડિયા બજાર ચાર રસ્તા, માર્કેટ ચાર સ્તા, કીર્તિસ્તંભ સર્કલ, લાલબાગ બ્રિજ, સ્પંદનસકલ અને સુસેનસર્કલ થઈ જાંબુઆ બ્રિજ નીચે આઇડીયલ સ્કૂલ ખાતે બપોરે ૧૨: ૩૦થી ૩વાગ્યા સુધી રોકાણ કરશે.
પદયાત્રા ત્યારબાદ અહીંથી આલમગીર થઈ બાબરીયા કોલેજ ત્રિમંદિર પહોંચશે અને તા. ૧ડિસેમ્બરે સવારે ૮:૪૦ કલાકે ત્રિમંદિરથી નીકળી પોર વારાણી મંદિર પહોંચશે.
પદયાત્રાના રૂટ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ
વડોદરા શહેર પો. કમિશનર નરસિંમ્હા કોમારે યાત્રાના સમગ્ર રૂટ પર તમામ પ્રકારના વાહનો માટે નો પાર્કિંગ ઝોન અને નો એન્ટ્રી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. તા. ૨૯ નવેમ્બરે સવારે ૭:૩૦ વાગ્યાથી, તા. ૩૦ નવેમ્બરે સવારે ૮ વાગ્યાથી અને તા. ૧ ડિસેમ્બરે સવારે ૭વાગ્યાથી પદયાત્રાના રૂટ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. પદયાત્રા આગળ વધ્યા બાદ જરૂરિયાત મુજબ ટ્રાફિક ડાયવર્ઝનની કામગીરી કરાશે.
ને. હા. નં. ૪૮ પરથી ટ્રાફિક ભારતમાલા હાઇવે તરફ ડાયવર્ટ કરાયો
અમદાવાદથી વડોદરા નેશનલ હાઈવે નં. ૪૮ થઈભરુચ અને મુંબઈ જતા તમામ પ્રકારના ભારદારી વાહનો માટે તા. ૩૦ નવેમ્બર બપોરે ૧ વાગ્યાથી તથા તા. ૧ ડિસેમ્બરસવારે ૭ વાગ્યાથી જરૂરિયાત મુજબ ટ્રાફિક ડાયવર્ઝન અપાયું છે. ભારદારી વાહનો ફાજલપુર વાસદ ખાતેથી યુ ટર્ન લઈ નવા ભારતમાલા હાઇવેથી ભરૂચ અને મુંબઈતરફ જઈશકશે.
સિટિ અને એસ.ટી. બસો વૈકલ્પિક રસ્તાઓ પર રાબેતા મુજબ દોડશે
વડોદરા સેન્ટ્રલ એસટી ડેપોથી ભરૂચ અને સુરત તરફ જતી એસ.ટી. બસો માટે તા. ૩૦ નવેમ્બરે બપોરે ૧ વાગ્યાથી તથા તા.૧ ડિસેમ્બરે સવારે ૭ વાગ્યાથી જરૂરિયાત મુજબ એસ.ટી. બસો હાઇવે નં.૪૮ના બદલે ભારતમાલા હાઈવેનો ઉપયોગ કરશે. સેન્ટ્રલ એસ.ટી. ડેપોથી નીકળતી બસો કાલાઘોડા સર્કલ, ફતેગંજ સર્કલ, અટલ બ્રિજ, કલાલી બ્રિજ અને સમલાયા ગામ થઈ ભરૂચ અને સુરત તરફ જશે. જ્યારે વડોદરા શહેરના અન્ય એસ.ટી. ડેપો ખાતેથી સિટિ અને એસ.ટી બસો વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી રાબેતા મુજબ પસાર થશે તેવું એસ.ટી. અને સિટિ બસના અધિકારીઓએ જણાવ્યું.


