Gujarat

વેસ્ટ ઝોન વિસ્તારમાં જપ્ત લારીઓ છોડવા કોઇપણ કોર્પોરેટર ભલામણ કરશે નહિં

By GS Team
17 Nov 20212 mins read
This article was originally published on 17 Nov 2021
વેસ્ટ ઝોન વિસ્તારમાં જપ્ત લારીઓ છોડવા કોઇપણ કોર્પોરેટર ભલામણ કરશે નહિં

રાંદેર-અડાજણમાં 16 કોર્પોરેટરોએ સર્વિસ રોડ સહિતના ન્યુસન્સરૃપ દબાણો કડકાઇથી હટાવવા એકસૂરે માંગણી કરી

સુરત,

સુરત મહાનગરપાલિકાના વેસ્ટ (રાંદેર) ઝોનની આજની સંકલન બેઠકમાં  ત્રણ વોર્ડના તમામ ૧6 કોર્પોરેટરોએ એક સુરથી ઝોનના તમામ સર્વિસ રોડ પરના ન્યુસન્સરૃપ દબાણ હટાવવા માટેની માગણી કરી હતી. આ માગણી સાથે સાથે તમામ કોર્પોરેટરોએ ઝોનના અધિકારીઓને ખાત્રી પણ આપી હતી કે દબાણવાળી લારી પાછી આપવા માટે તમામ કોર્પોરેટરો અધિકારીઓને ભલામણ કરશે નહીં.

રાંદેર ઝોનની સંકલન બેઠકમાં આમ તો ડ્રેનેજ અને પાણીની સમસ્યાનો નિકાલ ઝડપભેર કરવા માટેની રજુઆત કરવામાં આવી હતી. આ સાથે સાથે ઝોનમાં સર્વિસ રોડ પર અને બ્રિજ છેડે તથા અન્ય સ્પોટ પર લારીઓના દબાણની લોકોની સંખ્યાબંધ ફરિયાદોનો કરવા માંગણી કરાઇ હતી. આ માગણી સાથે તમામ ૧6 કોર્પોરેટરોએ રાંદેર ઝોનના અધિકારીઓને ખાત્રી પણ આપી હતી કે દબાણ હટાવવાની કામગીરી ઝોન દ્વારા કરાયા બાદ કોઈ પણ કોર્પોરેટર દબાણ કરીને ઉભી રહેલી લારીઓ પરત આપવા માટે ભલામણ કરશે નહીં.

આ ઉપરાંત રાંદેર ઝોનમાં પાલનનપોર અને અડાજણ જહાંગીરપુરા સહિત તમામ વિસ્તારમાં રખડતા ઢોરના કારણે અનેક અકસ્માત થાય છે. રખડતાઢોર માટ મ્યુનિ. તંત્રએ નીતિ બનાવી છે તેનો અમલ પણ કડકાઈથી કરવો પડશે. અધિકારીઓએ કહ્યું હતું કે, આગામી દિવસોમાં આ  વિસ્તારમાં ઢોરના તબેલાનો સર્વે કરવામા આવશ. તબેલમાં ઢોર રાખવાની ક્ષમતા અને ઢોરની સંખ્યા બન્નેની ચકાસણી કરવામાં આવશે. નવી નિતીના અમલ બાદ ઢોરને આર.એફ.આઈ.ડીની ચીપ પણ લગાવવા માટેની કામગીરી થશે. આગામી દિવસોમાં તબેલામાં ક્ષમતા કરતાં વધુ ઢોર હશે અને તે ઢોર રસ્તા પર ફરતાં હશે તેમની સામે  તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.