Get The App

અમદાવાદ: માતા-પુત્ર અને પુત્રવધુએ કરી ઠગાઈ: મકાન વેચાણ પેટે 2.54 કરોડ લઈ નિરમાના એન્જીનીયર અને ખેડૂતને છેતર્યા

Updated: Mar 23rd, 2022

GS TEAM

Google News
Google News
અમદાવાદ: માતા-પુત્ર અને પુત્રવધુએ કરી ઠગાઈ: મકાન વેચાણ પેટે 2.54 કરોડ લઈ નિરમાના એન્જીનીયર અને ખેડૂતને છેતર્યા 1 - image

અમદાવાદ,તા.23 માર્ચ 2022,બુધવાર

બોપલમાં પોલીસ સ્ટેશનમાં મંગળવારે માતા-પુત્ર અને પુત્રવધુ વિરુદ્ધ ઠગાઈની અલગ અલગ બે ફરિયાદ થઈ છે. જેમાં નિરમા લિમિટેડના એન્જીનીયર પાસેથી ફ્લેટ વેચાણ પેટે રૂ 60 લાખમાં સોદો કરી રૂ 31 લાખ  લઈ પતિ-પત્નીએ મકાન બારોબર બીજાને વેચી માર્યું હતું. જ્યારે બીજી ફરિયાદમાં પાટણના ખેડૂતને બંગલો રૂ.9.50 કરોડમાં વેચવાનો સોદો કરી 2.23 કરોડ લઈ દસ્તાવેજ બીજાને કરી આપ્યો હતો. 

બનાવની વિગત મુજબ વેજલપુરમાં રેડિયો મિર્ચી રોડ પર આશાકિરણ એપાર્ટમેન્ટમાં રહેતા ઈશ્વરભાઈ મુળજીભાઈ દેસાઈ નીરમા લિમિટેડમાં સિનિયર એન્જીનીયર તરીકે ફરજ બજાવે છે. ઈશ્વરભાઈએ તેમના પડોશી ચિંતન પ્રફુલચંદ્ર શાહ અને તેની પત્ની હિરવા વિરુદ્ધ રૂ.31,31,084ની મતાની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. જે મુજબ પતિ-પત્નીએ બોપલમાં મેરી ગોલ્ડ સ્કીમમાં આવેલો ફ્લેટ રૂ.60 લાખમાં વેચવાનું નક્કી કરી રૂ.31,31,084ની રકમ ઈશ્વરભાઈ જોડેથી લઈ દસ્તાવેજમાં વાયદા કર્યા હતા. દરમિયાનમાં દંપતિએ ફ્લેટનો દસ્તાવેજ યતેન્દ્ર જયંતીલાલ શાહને કરી આપી ઠગાઈ આચરી હતી. 

બીજી ફરિયાદમાં મૂળ પાટણના આઘેર ગામના વતની અને ખેડૂત દેવચંદ હરિભાઈ પટેલે આરોપી ચિંતન પ્રફુલચંદ્ર શાહ, તેની પત્ની હિરવા અને માતા પારૂલ શાહ વિરુધ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ ફરિયાદીને કેનેડા રહેતા ભાઈ મહેન્દ્ર પટેલએ બોપલના સ્કાય સીટીમાં બંગલો ખરીદવા માટે કુલમુખત્યારનામું કરી આપ્યું હતું. જે બંગલો ચિંતન શાહે રૂ.9.50 કરોડમાં વેચવાનું જણાવતા સોદો નક્કી થયો હતો. આ પેટે દેવચંદભાઈએ રૂ.2,23,67,767ની રકમ બેન્ક મારફતે ટુકડે ટુકડે ચિંતન, તેની પત્ની હિરવાને આપી હતી.જોકે આરોપીઓ મકાનનો દસ્તાવેજ કરી આપતા ન હતા. 

ચિંતનની પત્ની હિરવાએ ગત તા.22-11-2021ના રોજ દસ્તાવેજ કરવાની વાત કરી હતી. જોકે બે દિવસ અગાઉ પતિ-પત્નીનો ફોન બંધ થઈ ગયો તેમજ બન્ને પોતાની ગાડીઓ બીજાને વેચી ઘર છોડી જતા રહ્યા હતા. દેવચંદભાઈએ તપાસ કરતા ચિંતનની પત્ની હિરવાએ બંગલાની પાવર ઓફ એટર્ની તેની સાસુ પારૂલબહેનને ગત તા.10-11-2021ના રોજ કરી આપી હતી. તે જ દિવસે બંગલાનો દસ્તાવેજ પારૂલબહેનએ તેઓના પ્રહલાદનગર રોડ, ગ્રીન એકર્સમાં રહેતાં મળતીયા જીગ્નેશ ફરશુ કક્કડ અને ઉર્વી જીગ્નેશ કક્કડને દસ્તાવેજ કરી આપ્યો હતો. દેવચંદભાઈને કરી આપેલા બાનાખતમાં આરોપીઓએ બંગલા પર લોનનો બોજો હોવા છતાં તેનો ઉલ્લેખ કર્યો ન હતો.