વિદ્યાર્થી નિકુંજ ચૌધરી મેસમાંથી જમીને નીચે ઉતર્યો અને ઇમારતમાં વિમાન ટકરાયું
- મુળ બનાસકાંઠા જિલ્લાના વતની અને નવસારીમાં રહેતો
- મેડીકલનો વિદ્યાર્થી નિકુંજ ચૌધરી હોસ્ટેલ જવા બાઇક સ્ટાર્ટ કરતો હતો ત્યારે વિમાન ક્રેશ થતાં કાટમાળથી પગ-મોંઢા પર ગંભીર ઇજા
અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જવા માટે નીકળેલા બોઈંગ વિમાન બે મિનિટમાં જ તુટી પડતા સેંકડો લોકોનાં કરૂણ મોત નીપજ્યા હતા. આ વિમાન બે કિલોમીટરે ૬૫૦ ફૂટ ઉપરથી મેડીકલ કોલેજની હોસ્ટેલ મેસ બિલ્ડીંગ સાથે ટકરાયું હતું. તે સમયે મેસમાં જમતા મેડીકલ કોલેજનાં વિદ્યાર્થીઓ આ દુર્ઘટનાનાં શિકાર બન્યા છે. પરંતુ થોડી મિનિટ પહેલાં જ મેસમાંથી જમીને બહાર નીકળેલા વિદ્યાર્થી નિકુંજ ચૌધરીનો આબાદ બચાવ થયો હતો. નવસારીનાં વિજલપોર ખાતે આવેલા શ્રી વિજય આશિષ પેલેસ નામનાં એપાર્ટમેન્ટમાં રહેતા નિકુંજ કાળુભાઈ ચૌધરી (ઉ.વ.૧૯, મૂળ રહે. બનાસકાંઠા જિલ્લો)નાં પિતા નવસારીમાં રત્નકલાકાર તરીકે કામ કરે છે. તેમણે નિકુંજને અમદાવાદની બી.જે. મેડીકલ કોલેજમાં એમ.બી.બી.એસ.ના અભ્યાસ માટે મોકલ્યો હતો. હાલ તે બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. હોસ્ટેલમાં રહીને મેસમાં જમતો નિકુંજ નસીબનો બળીયો નીકળ્યો હતો. ગણતરીની મિનિટ અગાઉ તે મેસમાંથી નીચે આવ્યો અને હોસ્ટેલ ઉપર જવા બાઈક સ્ટાર્ટ કરતો હતો. અને એજ સમયે વિમાન ક્રેશ થયુ અને તેનો કાટમાળ નિકુંજ ઉપર પડયો જેમાં તેના બંન્ને પગે-મોઢા પર ગંભીર ઈજા થઈ હતી. પરંતુ જાન બચ્યો હતો. ઘટનાની જાણ થતા પરિવાર અમદાવાદ દોડી ગયો હતો.