અમદાવાદમાં બનશે NIAનું વડુ મથક, ગૃહમંત્રાલય-વાહન વ્યવહાર વિભાગે બહાર પાડ્યું જાહેરનામું
NIAના તમામ વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા માટેનું જાહેરનામું બહાર પડાયું
અમદાવાદ, તા.03 મે-2023, બુધવાર
ગુજરાત એક સરહદી રાજ્ય છે. ઉપરાંત રાજ્યના સરહદી વિસ્તારો તેમજ દરિયાકાંઠાઓથી માદક પદાર્થો, હથિયારો સહિતની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી રહી છે. એટલું જ નહીં ગુજરાત રાજ્યની સરહદો પાકિસ્તાનની બોર્ડર સાથે પણ જોડાયેલી છે, તેથી ગુજરાતની સરહદ સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ ગણાય છે. આ તમામ બાબતોને ધ્યાને રાખી ગૃહમંત્રાલયે આજે મહત્વનો નિર્ણય લીધો છે. ગૃહમંત્રાલયે ગુજરાતના અમદાવાદમાં આવેલા જગતપુરમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)નું વડુ મથક બનાવવાનો નિર્ણય લીધો છે અને તેને લીલી ઝંડી પણ આપી દેવામાં આવી છે.
NIAના તમામ વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ
દેશમાં કાઉન્ટર ટેરરિઝમ એજન્સી તરીકે કાર્યરત NIAનું પોલીસ સ્ટેશન અમદાવાદમાં કાર્યરત થાય તે માટે ગૃહ વિભાગ દ્વારા મંજૂરી અપાઈ છે. ઉપરાંત રાજ્યના ગૃહમંત્રાલયે NIAના તમામ વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા માટેનું પણ જાહેરનામું બહાર પાડ્યું છે.
ગૃહ મંત્રાલય-વાહન વ્યવહાર વિભાગે જાહેરનામું બહાર પાડ્યું
રાજ્યની સુરક્ષાને ધ્યાને રાખી અમદાવાદના જગતપુરમાં NIAનું પોલીસ સ્ટેશન શરૂ થાય તે માટે ગૃહ વિભાગે મંજુરીની મહોર મારી દીધી છે અને તે માટે મંત્રાલયે જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું છે. ઉપરાંત વાહન વ્યવહાર વિભાગ દ્વારા પણ NIAના વાહનોને લઈ મોટો નિર્ણય કર્યો છે. વાહન વ્યવહાર વિભાગે NIAને વાહનોને ટોલ ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવા માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે.
NIAના અધિકાર ક્ષેત્રમાં સમગ્ર ગુજરાત
ઉલ્લેખનિય છે કે, આ અગાઉ NIAને અમદાવાદના SG હાઈવે ઉપર કચેરી અપાઈ હતી, જેમાં NIA દ્વારા મહત્વપૂર્ણ કેસોની તપાસ ચાલતી હતી. જોકે રાષ્ટ્રીય તપાસ એજન્સી હવે ગુજરાતમાં પણ કેસ દાખલ કરી શકશે અને તેના અધિકારમાં સમગ્ર ગુજરાત રહેશે. ગૃહ વિભાગે તા.26 મી એપ્રિલે જાહેરનામુ બહાર પાડ્યું હતું, તો વાહન વ્યવહાર વિભાગે 28મી એપ્રિલે જાહેરનામું બહાર પાડી NIAના વાહનોને ટોલ ટેક્સ ભરવામાંથી મુક્તી આપી છે.