- હવે સોસાયટીની જમીનના ચાલી રહેલા તમામ કેસોમાં નવા વહીવટદાર ઉપસ્થિત રહેશે
સુરત
કરોડોની જમીન ધરાવતી કેશવપાર્ક કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીના પ્રમુખ, સેક્રેટરી સહિત સાત વ્યવસ્થાપક સભ્યોને જિલ્લા રજિસ્ટ્રારે બરતરફ કર્યા બાદ જે વહીવટદાર નિમ્યા હતા. તેમણે વહીવટદાર પદેથી રાજીનામું મુકી દેતા નવા વહીવટદારે ચાર્જ સંભાળી લેતા હવે આ સોસાયટીના જેટલા પણ કેસો હશે તેમાં વહીવટદાર હાજર રહેશે.
સુમુલ ડેરી રોડની અંબિકા પાર્કની શ્રી કેશવપાર્ક સોસાયટીની ૨૦૦૧ માં નોંધણી થયા બાદ આ સોસાયટી સભાસદોને પ્લોટ ફાળવીને રહેઠાણ માટે મકાનો પુરા પાડવા માટે બનાવાયેલી હતી. તેમ છતા કામગીરી થઇ ના હતી. સોસાયટીની નોંધણી થયા બાદ મુખ્ય પ્રાયોજકો અને સહ પ્રાયોજકો સિવાય અન્ય કોઇ વ્યકિતને સભાસદ બનાવ્યા નથી. કલમ-૪૩ મુજબ સભાસદ રજીસ્ટર નિભાવવુ જરૃરી છે. પરંતુ હોદેદારો નિષ્ફળ ગયા હતા. આ તમામ મુદ્વાઓને ધ્યાનમાં રાખીને જિલ્લા રજિસ્ટ્રાર ધુ્રવીન પટેલે સોસાયટીના પ્રમુખ, સેક્રેટરી સહિત તમામ સાત વ્યવસ્થાપક સભ્યોને બરતરફ કરી વહીવટદાર તરીકે એસ.એચ. વ્યાસની નિમણુંક કરી હતી. જો કે તેઓ હાજર જ નહીં થતા ફરિયાદ તરફે આ બાબતે કચેરીમાં ઉગ્ર રજુઆતો કરી હતી. આખરે વહીવટદાર એસ.એચ. વ્યાસે સ્વાસ્થયને ધ્યાને રાખીને આ વહીવટદાર પદેથી રાજીનામુ આપતા નવા વહીવટદાર આનંદ ગોટીની નિમણુંક કરાઇ છે. અને તેમણે ચાર્જ સંભાળી લીધો છે. આ ચાર્જ સંભાળતા જ હવે પછી જેટલા પણ આ સોસાયટીના રેવન્યુ, સિવિલ કે અન્ય કેસો ચાલી રહ્યા છે. તે તમામ કેસોમાં વ્યવસ્થાપક સભ્યો દૂર થતા વહીવટદાર હવે હાજર રહેશે. ફરિયાદ પક્ષ દ્વારા આક્ષેપ કરાયા હતા કે કચેરીમાં રજુઆતો કરવા છતા અમોને યોગ્ય પુરાવાઓ આપવામાં આવતા નથી.


