જામનગરના સચાણા ગામમાં કચરો ફેંકવાના પ્રશ્ને બે પાડોશીઓ બાખડયા : બંને પક્ષે સામ સામે હુમલામાં 7 વ્યક્તિ ઘાયલ
Jamnagar Crime : જામનગર તાલુકાના સચાણા ગામમાં ગઈકાલે કચરો ફેંકવા જેવી સામાન્ય બાબતમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી, અને બંને પક્ષે સામ સામે હુમલામાં ચાર મહિલાઓ સહિત સાત વ્યક્તિ ઘાયલ થઈ છે, અને તમામને સારવાર અપાઇ છે. પોલીસે બંને પક્ષે સામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક સચાણા ગામમાં રહેતી નિગાહબાનું અબ્દુલભાઈ ભગાડ નામની 19 વર્ષની યુવતીએ ઘર પાસે કચરો ફેંકવા જેવી સામાન્ય બાબતની તકરારમાં પોતાના ઉપર તેમજ પોતાના પિતા અબ્દુલભાઈ ભગાડ માતા ખેરૂનબેન ભગાડ, તથા કાકી નાજમીનબેન ભગાડ ઉપર હુમલો કરવા અંગે પાડોશમાં રહેતા અહેમદ હસન બસીરભાઈ ભગાડ, બસીર હારુનભાઈ ભગાડ, દાઉદ અકબરભાઈ કક્કલ અને સબીર ભગાડ સામે પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ત્યારે સામા પક્ષે બસીરભાઈ હારુનભાઈ ભગાડે પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના ખેરુનબેન તથા જેનમબેન ઉપર હુમલો કરી ઈજા પહોંચાડયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. બંને પાડોશીઓ વચ્ચે ઘર નજીક કચરો ફેંકવાના પ્રશ્ને ઘણા સમયથી તકરાર ચાલી રહી છે, જેના મનદુઃખના કારણે ગઈકાલે બંને પરિવારો વચ્ચે ઝઘડો થયા બાદ મારા મારી શરૂ થઈ ગઈ હતી, અને સામસામમાં હુમલા કરાતા 7 વ્યક્તિઓ ઘાયલ થઈ છે. પંચકોશી એ. ડિવિઝનના પી.આઈ. એન.એમ શેખ અને તેઓની ટીમ વધુ તપાસ ચલાવે છે.