Get The App

મ્યુનિ.ફાયર વિભાગની બેદરકારી ચાલુ વિજિલન્સ ઈન્કવાયરી છતાં સ્ટેશન ઓફિસરને સરકારી હોદ્દા ઉપર હાજર કરાયા

મ્યુનિ.રીલીવ કરવાનો જી.ડી.એસ.ટી.કરે એ પહેલા કેવી રીતે હાજર કરાયા તેની તપાસ કરાશે

Updated: Nov 24th, 2022


Google NewsGoogle News

     મ્યુનિ.ફાયર વિભાગની બેદરકારી ચાલુ વિજિલન્સ ઈન્કવાયરી છતાં સ્ટેશન ઓફિસરને સરકારી હોદ્દા ઉપર હાજર કરાયા 1 - image

  અમદાવાદ,ગુરુવાર, 24 નવેમ્બર,2022

અમદાવાદ ફાયર વિભાગમા સ્ટેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા અધિકારીની રાજય સરકારે બે વર્ષના પ્રોબેશન પિરીયડથી રિજીયોનલ ઓફિસર તરીકે કરેલી નિમણૂંકમા ફાયર વિભાગની બેદરકારી છતી થઈ છે.મ્યુનિ.તંત્રમા આ અધિકારી સામે વિજિલન્સ ઈન્કવાયરી ચાલુ છે.મ્યુનિ.તંત્રે અધિકારીને રીલીવ કરવા જી.ડી.એસ.ટી પણ કર્યો નથી.આમ છતાં આ અધિકારીને સરકારી હોદ્દા ઉપર હાજર કરી દેવામા આવતા સરકારમા કેવી રીતે હાજર કરાયા એની તપાસ મ્યુનિ.તંત્ર કરશે એમ જાણવા મળ્યુ છે.

અમદાવાદ ફાયર વિભાગમા સ્ટેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા અભિજીત અજીતદાન ગઢવીની રાજય સરકારના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા બે વર્ષના હંગામી સમય માટે સુરત માટે રિજીયોનલ ઓફિસર તરીકે નિમણૂંક કરવામા આવતા તેઓ પંદર દિવસ પહેલા અમદાવાદ ફાયર વિભાગમાંથી રાજીનામુ આપી તેમના ફરજના સ્થળે હાજર થયા છે.મ્યુનિ.તંત્ર તરફથી તેમને રીલીવ કરવાનો જી.ડી.એસ.ટી કરવામા આવે તે અગાઉ માત્ર તેના રાજીનામાના પત્રના આધારે ત્રણ પગારની રકમ જમા કરાવી છૂટા કરવામા આવતા તેમને ફાયર વિભાગ તરફથી આપવામા આવેલી મંજુરી વિવાદાસ્પદ બનવા પામી છે.

રાજય સરકારમાં રિજીયોનલ ફાયર ઓફિસર તરીકે હોદ્દો સંભાળનાર આ અધિકારી સામે  કેન્દ્ર સરકારના વિભાગની ખોટી સ્પોન્સરશીપ ઉભી કરીને નેશનલ ફાયર કોલેજમા એડમિશન મેળવી  કોર્ષની ખોટી લાયકાત ખોટી રીતે ઉભી કરી નોકરી મેળવવાના આરોપ હેઠળ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિજિલન્સ તપાસ ચાલી રહી છે.દરમિયાન ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાના કહેવા પ્રમાણે,આ અધિકારીની સરકારમા નિમણૂંક થતા તેમના રાજીનામાનો પત્ર સ્વીકારી ત્રણ મહિનાનો એડવાન્સ પગાર જમા કરાવી છૂટા કરાયા છે.ફાયર વિભાગને બીજુ કંઈ કરવાનુ હોતુ નથી.

મ્યુનિ.ની મંજુરી નહીં મળે તો સરકાર નિમણૂંક રદ કરશે

મ્યુનિ.ના વિજિલન્સ વિભાગના ડેપ્યુટી કમિશનર અને વિભાગના વડાના કહેવા પ્રમાણે, આ અધિકારી સામે હાલમા પણ વિજિલન્સ તપાસ ચાલી રહી છે.જો મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ અધિકારીને રીલીવ કરવા અંગે જી.ડી.એસ.ટી. કરવામા નહી આવે તો સરકાર રિજીયોનલ ફાયર ઓફિસર તરીકે તેમને આપવામા આવેલી નિમણૂંક રદ કરે એવી સંભાવના છે.



Google NewsGoogle News