તંત્રની બેદરકારી : સાબરમતી ડી કેબિન નજીક 13 કરોના ખર્ચે બનેલા અંડરપાસમાં પાણીના નિકાલની વ્યવસ્થા જ નહીં!
Ahmedabad Sabarmati News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના અણઘડ આયોજનના કારણે પ્રજાના પૈસાની બરબાદી થઈ રહી છે. ડી કેબિન ખાતે રેલવે અને કોર્પોરેશને સંયુકત રીતે રુપિયા 13.83 કરોડના ખર્ચે આ અંડરપાસ બનાવ્યો છે. છ મહીના અગાઉ ઉતાવળે ખુલ્લો મુકવામા આવેલા આ અંડરપાસમાં વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી.
આ અંડરપાસમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે કોઈ રસ્તો બનાવાયો નહતો. જેથી અંડરપાસમાં કલાકો સુધી વરસાદી પાણી ભરાયેલા રહેતા હતા. રેલવે દ્વારા અંડરપાસ બનાવવામા આવ્યો એ સમયે મ્યુનિસિપલ કોર્પોરેશને વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા નહી કરતા અંડરપાસમાં ભરાતા વરસાદી પાણીના કારણે સાબરમતી, રાણીપ અને ચાંદખેડા જેવા વિસ્તારના રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
અંડરપાસમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે વરૃણ પમ્પ મુકી થાકેલુ કોર્પોરેશન હવે ચોમાસાની શરુઆત થઈ છે એવા સમયે કોર્પોરેશન રોડ તોડી વરસાદી પાણીના નિકાલ માટે લાઈન નાંખી રહ્યુ છે. માત્ર એરકન્ડીશન ઓફિસમાં બેસીને પ્લાનિંગ કરતા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની વધુ એક બેદરકારી બહાર આવી છે.
ડી કેબિન અંડરપાસ પાસે બનાવાયેલા અંડરપાસમાંથી વરસાદી પાણીના નિકાલ માટે સમ્પ બનાવી પમ્પ નાંખવામાં આવ્યો નહોતો. જેના કારણે ચોમાસા પહેલા પડેલા ભારે વરસાદથી આખો અંડરપાસ પાણીથી ભરાયો હતો. ડી વોટરીંગ પમ્પથી પાણી કાઢવુ પડયુ હતુ. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પમ્પિંગરુમ બનાવી કામગીરી કરવાની હતી.
પમ્પ ઉતારી કામગીરી ચાલુ કરી પરંતુ આ પાણીનો નિકાલ કયાં અને કેવીરીતે કરવો તે અંગે ચોકકસ કોઈ આયોજન જ કરાયુ નહોતુ.જેથી મોડે મોડે જાગેલા વોટર અને ડ્રેનેજ પ્રોજેકટ વિભાગના અધિકારીઓએ હવે પાણી બહાર કાઢવા અંડરપાસની બહાર આવેલા કાળીગામ ગરનાળા સુધી જતી લાઈનમાં નાંખવાનો નિર્ણય કર્યો છે.ડીકેબીન અંડરપાસનુ પાણી કાઢવા માટે નવી લાઈન નાંખવાની કામગીરી પહેલા કરવાની જરુર હતી જે હવે શરુ કરવામાં આવી છે.
છ મહીના પહેલા કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી દ્વારા લોકાર્પણ કરાયેલા આ અંડરપાસમાં હાલ તોડફોડ કરાઈ રહી છે. લાઈન નાંખવાની કામગીરીના કારણે રોડ એક ફુટ જેટલો દબાઈ જશે. કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારીના કારણે સાબરમતી, ડીકેબીન,ચાંદખેડા અને રાણીપ વિસ્તારના રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે.