નવસારીમાં મોડી રાત્રે રફતારનો કહેર: ભયાનક કાર અકસ્માતમાં એકનું કરૂણ મોત, ત્રણ બાળકોને ઈજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Car Accident In Navasari: નવસારી શહેરમાં મંગળવારે મોડી રાત્રે રફતારના કારણે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શહેરના તીઘરાથી કબીરપોર તરફ જઈ રહેલી એક કાર સેન્ટ્રલ મોલ નજીક ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ થયું છે, જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ બાળકોને ઈજા પહોંચી છે.
કાર ચાલકે શ્વાનને બચાવવા પ્રયાસ કર્યો
પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માત સર્જાયો તે સમયે કારમાં કુલ ચાર લોકો સવાર હતા. મોડી રાત્રે કાર પૂરપાટ ઝડપે તીઘરા તરફથી કબીરપોર જઈ રહી હતી. તે દરમિયાન સેન્ટ્રલ મોલ નજીક અચાનક રસ્તા વચ્ચે એક શ્વાન આવી જતાં કાર ચાલકે તેને બચાવવા માટે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
કાબૂ ગુમાવતા જ કાર રોડની વચ્ચે આવેલા સેન્ટ્રલ મોલના ડિવાઇડર સાથે જોરદાર રીતે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.
એકનું મોત, ત્રણ બાળકોને ઈજા
આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકો પૈકી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે તેની સાથે સવાર ત્રણ બાળકોને શરીરે ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોડી રાત્રે બનેલા આ બનાવથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.








