નવરંગપુરામાં આવેલા બંધ ફ્લેટમાંથી રૂ.23 લાખની ચોરી, તસ્કરો સોના-ચાંદીના દાગીના અને વિદેશી ચલણ લઈ ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Flat Burglary: અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં ધોળા દિવસે ચોરીની એક મોટી ઘટના સામે આવી છે. અહીં એક રહેણાંક ફ્લેટના તાળા તોડી અજાણ્યા તસ્કરો આશરે રૂ.23.03 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના, રોકડ અને વિદેશી ચલણની ચોરી કરી નાસી છૂટ્યા છે.
શું છે સમગ્ર ઘટના?
નવરંગપુરા પોલીસના જણાવ્યા અનુસાર, ચોરીની આ ઘટના વિજય પાર્ક પાસે આવેલા 'નક્ષત્ર એપાર્ટમેન્ટ'ના એક ફ્લેટમાં સોમવારે સાંજે 5:30 થી 7:00 વાગ્યાના ગાળામાં બની હતી. આ મામલે ફાર્મા કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા 28 વર્ષીય શીતલ સોમાણીએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી અને તેમનો પરિવાર સાંજના સમયે ઘરને લોક કરીને બહાર ગયો હતો. જ્યારે શીતલબેન સાંજે 7 વાગ્યાની આસપાસ ઘરે પરત ફર્યા, ત્યારે તેમણે જોયું કે મુખ્ય દરવાજાનું હેન્ડલ તૂટેલું હતું. ઘરની અંદર તપાસ કરતા લિવિંગ રૂમમાં બધું બરાબર હતું, પરંતુ બેડરૂમમાં રહેલી પ્લાયવુડની તિજોરીના ખાના તોડી નાખવામાં આવ્યા હતા.
અમે CCTV ફૂટેજ તપાસી રહ્યા છીએ: નવરંગપુરા પોલીસ
નવરંગપુરા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ ઘરફોડ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 'અમે એપાર્ટમેન્ટ અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તપાસી રહ્યા છીએ. સાથે જ સિક્યુરિટી સ્ટાફ અને સ્થાનિક રહીશોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.'








