Gujarat

નર્મદા માઈનોર કેનાલનમાં બે વર્ષથી ભંગાણ : પાકને નુકસાન

By GS TEAM
10 Feb 20262 mins read
નર્મદા માઈનોર કેનાલનમાં બે વર્ષથી ભંગાણ : પાકને નુકસાન

- આંબલીયારા ગામેથી પસાર થતી 

- ભંગાણથી હજારો લીટર પાણીનો વ્યય : તંત્ર દ્વારા સમારકામ ઉકેલવા માગણી

કઠલાલ : કપડવંજ તાલુકાના આંબલીયારા ગામેથી પસાર થતી નર્મદા કેનાલ દહીયપથી ઝરમાળા દાંપટ માઈનોર કેનાલમાં છેલ્લા બે વર્ષથી ભંગાણ પડેલું હોવા છતાં તંત્રની આંખ ઉઘડતી નથી. કેનાલના કૂવાના ભાગે પડેલા આ ભંગાણને કારણે હજારો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે અને આ પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને ભારે આથક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

કપડવંજ તાલુકાના આંબલીયારા ગામેથી પસાર થતી નર્મદા કેનાલમાં દહીયપથી ઝરમાળા દાંપટ માઈનોર કેનાલમાં છેલ્લા બે વર્ષથી ભંગાણ પડેલું હોવાથી ઝરમાળા અને દાંપટ વચ્ચે આવેલા ખેતરોમાં પાણી ભરાઈ જવાથી તમાકુના પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે, એટલું જ નહીં, ખેતરોમાં સતત પાણી ભરાયેલું રહેતું હોવાથી ખેડૂતો નવી વાવણી પણ કરી શકતા નથી. સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે કેનાલના નિર્માણ વખતે ખેડૂતોની જમીનોના બે ભાગ પડી ગયા હતા, તેમ છતાં આજે તેમને સિંચાઈના પાણીનો કોઈ લાભ મળી રહ્યો નથી. આશ્ચર્યની વાત તો એ છે કે, જે ખેડૂતો માટે કેનાલની કાંસળીઓ નાખવામાં આવી છે તેમાં આજદિન સુધી પાણી પહોંચ્યું નથી. તંત્ર દ્વારા કેનાલોની યોગ્ય સમયે સાફ-સફાઈ પણ કરવામાં આવતી નથી, તેવો આક્ષેપ કરાયો છે. પરિણામે કેનાલમાં મોટા પાયે ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે. મહાદેવપુરા થઈને બાજકપુરા તરફ જતી આ માઈનોરમાં પાણી ચાલુ રહેવાથી માત્ર અમુક ખેડૂતોને જ લાભ થાય છે, જ્યારે સામાન્ય ખેડૂતોનો પાક બરબાદ થઈ રહ્યો છે. લાંબા સમયથી ચાલી આવતી આ ગંભીર સમસ્યા છતાં સરકારી તંત્ર કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે હવે ખેડૂતો વહેલી તકે સમારકામ અને ન્યાયની માંગ કરી રહ્યા છે.