નર્મદા ડેમના પાંચ ગેટ બંધ કરાયા ૧૦ ગેટમાંથી પણ ઓછું છોડાતું પાણી
૧૦ ટર્બાઇન શરૃ કરી વીજ ઉત્પાદનનો પ્રારંભ ઃ નદી કાંઠાના ગામોના લોકોને રાહત
રાજપીપળા તા.૩ નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતા ડેમમાંથી બપોરે ૧ વાગ્યાથી પાણી છોડવામાં ઘટાડો કરાયો છે. ડેમની જળ સપાટી ૧૩૨.૨૦ મીટર થઈ છે. ઉપરવાસમાંથી પાણીની આવક ૩૨૧ ક્યૂસેક છે. નર્મદા ડેમના ૫ ગેટ બંધ કરાયા હવે ૧૦ ગેટ ૧.૭૫ મીટર ખોલવામાં આવ્યા છે જ્યારે ડેમમાં લાઈવ સ્ટોરેજ ૩,૭૪૩ ક્યૂસેક છે.
નર્મદા ડેમના દરવાજામાંથી પણ પાણી છોડવામાં ઘટાડો કરવામાં આવ્યો છે. સવારે ૪ લાખ ક્યૂસેક પાણી દરવાજા દ્વારા છોડવામાં આવતું હતું તે ઘટાડી દેવામાં આવ્યું છે. ૧૦ દરવાજામાંથી ૧ લાખ ક્યૂસેક અને આરબીપીએચમાંથી ૪૫,૦૦૦ મળી કુલ ૧.૪૫ લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમના આરબીપીએચના ૬ અને સીએચપીએચના ૪ ટર્બાઇન શરૃ કરી વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. નદી કિનારા પરથી પાણી ઘટવાનું શરૃ થઈ રહ્યું છે.
નદીમાં પાણીની જાવક ઘટતા ભરૃચ, વડોદરા અને નર્મદા જિલ્લાના નદી કાંઠા નજીકના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.