ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની આવક વધી, સરદાર સરોવરની જળ સપાટી 119.55 મીટર પહોંચી
Gujarat Dam Report : રાજ્યમાં વિધિવત ચોમાસું બેસી ગયું છે. ચોમાસાની શરૂઆત થતાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા હોવાથી લોકોને કાળઝાળ ગરમીમાંથી પણ રાહત મળી ગઈ છે. ગુજરાત સહિત મધ્ય પ્રદેશમાં ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે અને રાજ્યભરના ડેમમાં નવા નીરની આવક થઈ છે. ચોમાસાના આ પ્રથમ વરસાદે જ રાજ્યના ડેમોની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક શરૂ છે. ઉપરવાસમાંથી 20,644 ક્યુસેક પાણીની આવક થતાં નર્મદા ડેમની હાલની જળ સપાટી 119.55 મીટર પહોંચી ગઇ છે. ચાલુ વર્ષે પણ નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ તેવી શક્યતાઓ છે. નર્મદા ડેમના બંને પાવર હાઉસ શરૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં RBPH ના 4 અને CHPH નું 1 ટર્બાઇન હાલ ચાલુ છે જેના થકી 34 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, 24 કલાકમાં 160 તાલુકામાં મેઘ મહેર, ડાંગ-આહવામાં 9.8 ઇંચ
બુધવારે (18 જૂન) 11 ડેમ હાઇઍલર્ટ પર છે, જ્યારે 13 ડેમ ઍલર્ટ પર અને 10 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. આ વરસાદથી ખેડૂતો અને સામાન્ય જનતાને ભારે રાહત મળી છે અને રાજ્યમાં પાણીની સમસ્યા હળવી બનવાની આશા છે.
18 જૂન સુધી રાજ્યના ડેમોમાં પાણીની સ્થિતિ
રાજ્યના કુલ 206 ડેમ પૈકી 9 ડેમ 100% ભરાયેલા છે.
- 25 ડેમ 70%થી 100% વચ્ચે ભરાયેલા છે.
- 22 ડેમ 50%થી 70% વચ્ચે ભરાયેલા છે.
- 55 ડેમ 25%થી 50% વચ્ચે ભરાયેલા છે.
- જ્યારે 95 ડેમ 25%થી નીચે ભરાયેલા છે.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ NDRF અને SDRFની ટીમ ફાળવાઇ
ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને NDRF અને SDRFની ટીમો જુદા-જુદા જિલ્લાઓમાં તૈનાત કરાઈ છે. ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે. ત્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની તીવ્રતાને ધ્યાને રાખીને બચાવ-રાહત માટે ટીમો તૈનાત કરવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં વધુ વરસાદની સંભાવનાને પગલે આવશ્યક બચાવ કાર્ય સમયસર થઈ શકે જાનમાલને નુકશાન અટકાવી શકાય તે હેતુથી રાહત કમિશનરની મળેલી સૂચનાનુસાર નર્મદા જિલ્લાને એસ.ડી.આર.એફ. ની એક ટીમ (કુલ 31) સભ્યો જિલ્લાને ફાળવવામાં આવ્યા છે.
નર્મદા જિલ્લામાં ફાળવેલ એસ.ડી.આર.એફની એક ટીમ જે રાહત અને બચાવની કામગીરી કરશે. એસ.ડી.આર.એફ. ‘એ’ કંપની રાજ્ય અનામત પોલીસ દળ જુથ-9 વડોદરા, નર્મદા જિલ્લા કલેકટર કચેરીના સંકલનમાં રહીને ભારે વરસાદ વાવાઝોડું, પૂર જેવી પરિસ્થિતિ દરમિયાન જિલ્લામાં જનહિત, પુરની પરિસ્થિતિ દરમિયાન સરાહનીય કામગીરી કરશે.