નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા, MPમાં ભારે વરસાદના પગલે પાણીની આવક વધી, નદી કિનારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ
Sardar Sarovar Dam Water Leval: ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. પાણીની આવકમાં સતત વધારો થતાં ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા હતા. સરદાર સરોવરમાંથી 1.36 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ત્યારબાદ વધુ પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે.
સિઝનમાં પ્રથમવાર 128 મીટરને પાર
ઉપરવાસમાં મધ્ય પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે આ વર્ષે સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી 128 મીટરને પાર કરીને હાલ 131 મીટર પર પહોંચી ગઇ છે. સરદાર સરોવરમાં હાલ 4,01,042 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે 1,37,137 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.
આ પણ વાંચો: અમદાવાદના શીલજ સર્કલ પાસે ટ્રકે એક્ટિવાને મારી ટક્કર, વિદ્યાર્થીનું ગમખ્વાર અકસ્માતમાં કરૂણ મોત
વોર્નિંગ સ્ટેજ પર ડેમ, 27 ગામોને એલર્ટ
ડેમ 70 ટકા ભરાતા તેને વોર્નિંગ સ્ટેજ પર મૂકવામાં આવ્યો છે. ડેમની સપાટી હાલ 131 મીટરને વટાવી ચૂકી છે, મહત્તમ સપાટી 138.68 મીટરથી હવે માત્ર 7 મીટર જ દૂર છે. નર્મદા નદીના કાંઠાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વડોદરા અને ભરૂચ સહિતના ગામોમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
2017થી 6 વાર દરવાજા ખોલાયા
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017થી 2025 સુધીમાં અત્યાર સુધી 6 વાર નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
24 કલાકમાં 3 મીટર સપાટી વધી
સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં 24 કલાકમાં ધરખમ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટી 3 મીટર વધી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 131 મીટર પર પહોંચી ગઈ હતી. ઉપરવાસમાંથી 4, 23 .270 ક્યુસેક પાણી ની આવક હજુ પણ ચાલુ છે.જેને કારણે આજે 11.30 કલાકે નર્મદા ડેમ તંત્ર દ્વારા 5 ગેટ ખોલવામાં આવ્યા છે. આ પાણીની આવક પ્રમાણે ગેટ વધારવા ઘટાડવાનું નક્કી નર્મદા કન્ટ્રોલ ઓથોરીટી દ્વારા કરવામાં આવ્યું છે.
નર્મદા નદી બે કાંઠે વહેતી થઇ, નદી કિનારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ
રિવરબેડ પાવરહાઉસના 6 ટર્બાઇનો ધમધમી ઉઠ્યા છે. પાવરહાઉસમાંથી 43,755 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 14,097 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જ્યારે દરવાજા ખોલી 50 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ આહલાદક દ્રશ્ય જોઈ પ્રવાસી પણ મંત્રમુગ્ધ થઈ જતાં જોવા મળે છે. જોકે હાલ પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. જેને લઈ નર્મદા પોલીસ, ભરૂચ પોલીસ અને વડોદરા પોલીસ દ્વારા નર્મદા નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી કોઈપણ વ્યક્તિ નર્મદા નદીમાં ન જાય માટે સુરક્ષા વ્યવસ્થામાં મૂકી દેવામાં આવ્યા છે.
ઉપરવાસમાં વરસાદના કારણે નર્મદા ડેમના પાંચ દરવાજા 2 મીટર સુધી ખોલાયા
ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી આજે 31 જુલાઇએ 11:30 કલાકે સરદાર સરોવર બંધના 5 દરવાજા 2 મીટર ખોલવામાં આવ્યા છે. જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં 50,000 કયુસેક પાણી વહેશે. નદી તળ વિદ્યુત મથક (R.B.P.H) ના 5 મશીનો અને સરદાર સરોવર બંધનાં દરવાજાના- સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ 86,000 (36,000+ 50,000) કયુસેક પાણી છોડવામાં આવશે. આથી સરદાર સરોવર બંધનાં નીચાણવાળા વિસ્તારોમાં કોઈ દુર્ઘટના કે જાનહાનિ ના થાય તે માટે સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.