નારાયણ સરોવર ચિંકારા વન્ય પ્રાણી અભયારણ્યમાં ભુમાફિયાઓ દ્વારા દબાણ
- જંગલ ખાતાની માલિકીની જમીનમાં દબાણકારોની પેશકદમી
ભુજ,રવિવાર
કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલ લુપ્તપ્રાય થતી હરણોની એક પ્રજાતિ એટલે કે ચિંકારા હરણોને બચાવવા માટે સરકાર દ્વારા આ વિસ્તારમાં ૪૪૪ ચો.કિ.મી. વિસ્તારને નારાયણ સરોવર ચિંકારા વન્ય પ્રાણી અભ્યારણ્ય તરીકે ઘોષિત કરેલ છે. આ વિસ્તારમાં અન્ય ઈસમોએ આવ જાવ કરવા માટે વન વિભાગની કાયદાકીય પરવાનગી લેવી પડે છે. પરંતુ અભ્યારણ્ય વિસ્તારમાં આવતા ગામો ગોહર નાની, ગોહર મોટી, કનોજ, છેહ, નારાયણ સરોવર સીમતળ વિસ્તારમાં જંગલ ખાતાની માલિકીની જમીનમાં અને ચિંકારા અભ્યારણ્ય વિસ્તારમાં અમુક શખ્શો દ્વારા જમીન પચાવી પાડવામાં આવી છે. જેમાં, વન વિભાગની અંદાજીત ૨૫ એકર જમીન પર અનઅિધકૃત કબજો દબાણ કરી તેમાં રહેલ ખેર, ગુંદી, ગુગળ, ગાંગેટી,મીઠી જાળ, મીઠા બાવળો જેવા વૃક્ષોનો નાશ કરી તે જમીનમાં વાવેતર કરી તેમાં ખેતી થઈ રહી છે. તેમજ નારાયણ સરોવર માંડવી તરફ જતા રસ્તાની પશ્વિમ બાજુમાં પાકુ બાંધકામ કરેલ છે. આ જ વિસ્તારમાં અમુક શખ્શો દ્વારા અભ્યારણ્યમાં દબાણ કરી જેસીબી તેમજ ટ્રેકટર દ્વારા વૃક્ષોનું નિકંદન કાઢી અંદાજીત ૩૦ એકર જેટલી જમીન નાની ગુહર ગામાથી પૂર્વ દિશામાં સેન્ચુરીની રખાલમાં કાઢી ગેરકાયદેસર રીતે ખેતી કરવામાં આવી રહી છે. જેમાં, દબાણકારો ખેતરની ચારેબાજુ વીજળી દ્વારા સંચાલિત કરંટ લગાવી રાત્રે આવતા વન્ય જીવોને ફસાવીને તેમનો શિકાર કરાઈ રહ્યો છે. ખેતરની ઉતર દિશા બાજુ પણ જાળ લગાવી સસલા, તેતર તેમજ રક્ષિત એવા ચિંકારા પ્રાણીઓનો શિકાર કરવામાં આવી રહ્યો છે. તેમજ મોર જેવા રાષ્ટ્રીય પક્ષીને ફસાવીખેતીના ઓાથા હેઠળ સરેઆમ શિકારી પ્રવૃતિ ચલાવી રહ્યા છે. ખેતરના મધ્યભાગમાં પાકા બાંધકામ પણ કરવામાં આવ્યા છે. આ સિવાય અન્ય ઈસમોએ અભયારણ્ય વિસ્તારમાં ચરખડી ડેમ તેમજ ગુહર ગામના ડેમની આજુબાજુના વિસ્તારમાં આવી રીતે દબાણ કરી વન્ય જીવોને પીવાના પાણીની ચોરી કરી પોતાની દબાણ કરેલ જમીનમાં પિયત કરી વાવેતર કરેલ છે. આ બાબતે સીસીએફને દબાણકારોના નામજોગ રજુઆત કરી છે અને યોગ્ય તપાસ કરી દબાણ દૂર કરવાની માંગ કરી છે.સેન્ચુરી વિસ્તારમાં દબાણ કરવાની પ્રવૃતિ, સરકારી જમીન પચાવી પાડવાની પ્રવૃતિ, ચિંકારા મોર જેવા પશુ પક્ષીઓના શિકાર કરવાની પ્રવૃતિ કરનાર ઈસમો સામે ફોજદારી રાહે ગુનો દાખલ કરવાની પણ માંગ કરી છે.