પાલિકા પણ ભ્રષ્ટાચાર કરે અને અન્યોને પણ કરાવે!
લાઈનો નાખી ત્યાં પીસીસી નથી કરાયું, લીક થઈ ગયેલી વોટર ટેન્કને થીગડું મારી પાલિકાને પધરાવવાની તૈયારી : પાલિકાનું મૌન
આ અંગે અંજાર નગરપાલિકાના વિપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ ચીફ ઓફિસરને આવેદન પત્ર આપતા અને આક્ષેપો કરતાં જણાવ્યુ હતું કે, અંજાર શહેરમાં વિવિધ સ્થળોએ પાણીની સમસ્યા હલ કરવા માટે કરોડોના ખર્ચે નલ સે જલ પ્રોજેક્ટ તથા ગટરની સમસ્યા હલ કરવા કરોડોના ખર્ચે જીયુડીસીના કામો ચાલી રહ્યા છે. તે કામની બિલકુલ ગુણવત્તા યોગ્ય નથી. આ સીવાય શહેરના વિવિધ વિસ્તારમાં પી.સી.સી કર્યા વગર જ પાઇપ નાખવામાં આવ્યા છે. એટલે કે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થયો છે. આટલું ઓછું હોય તેમ શહેરના સ્ટેડિયમમા બનાવવામાં આવેલા પાણી સપ્લાય માટેના ટાંકો (વોટર ટેન્ક)નો ક્યારેય ઉપયોગ કરાયો નથી તેમાથી પણ એકેય વાર શહેર માટે પાણી સપ્લાય કરાયું નથી. નવું કામ કર્યા બાદ જ્યારે તેની તપાસણી માટે ટેન્કમાં પાણી ભરાયું ત્યારે જ લીકેજ હતું. જેથી તેને થીગડુ મારી પાલિકાને સુપરત કરવાની તૈયારી ચાલુ છે જે સ્વીકારવામાં ન આવે અને એજન્સીને નવી ટાંકી બનાવી આપવાની નોટીસ આપવા સાથે પીસીસ વગરનું કામ ઉપરાંત જેટલા પણ કામમાં ભ્રષ્ટાચાર કરાયો છે તે તમામને નોટિસ આપી કાર્યવાહી કરાય તેવી માંગ કરવામાં આવી છે. નલ સે જલ અને જીયુડીસીના ચાલતા કામોમાં દેખીતો ભ્રષ્ટાચાર હોવા છતાં પાલિકા ચૂપ હોવાનો આક્ષેપ કરાયો હતો.


