Gujarat

ઝાલાવાડ પંથકમાં નાગપંચમીની ઠેરઠેર ઉજવણી

By GS TEAM
14 Aug 20251 min read
ઝાલાવાડ પંથકમાં નાગપંચમીની ઠેરઠેર ઉજવણી

નાગદેવતા મંદિરે વિશેષ શણગાર, હવન, આરતી, પ્રસાદ, ભોજન, સહિતના ધામક કાર્યક્રમ યોજાયા

સુરેન્દ્રનગરઝાલાવાડમાં શ્રાવણ માસમાં આવતા દરેક તહેવારોની ધામધુમ પુર્વક ઉજવણી કરાય છે. શ્રાવણ વદ પાચમ એટલે નાગપંચમીની ઠેરઠેર ઉજવણી કરાઇ હતી. જેમાં નાગદેવતાના મંદિરોમાં વિશેષ શણયાર કરાયા હતા.

જેમાં ધ્રાંગધ્રા, લખતર, મુળી, પાટડી, ચોટીલા, થાન સહિતના તમામ તાલુકાઓમાં અને શહેરી વિસ્તારોમાં આવેલા નાગ દેવતાના મંદિરોમાં સવારથી ભક્તોની ભીડ જોવા મળી હતી અને ભક્તો દ્વારા નાગદેવતાને તલવટ અને શ્રીફળના નૈવેધ્ય ધરાવવામાં આવ્યા હતા તેમજ નાગદેવતાના મંદિરોને ફુલોનો વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો હતો. શહેરી વિસ્તારોમાં આવેલ ચરમાળિયાદાદા દેરી, ખેતલાબાપાની દેરી,અનંત વાસુકી દાદાની દેરી, શિયાણી દરવાજા પાસે વાસુકી દાદાની દેરી, ઢવાણીયા દાદાની દેરી,સહિત ગ્રામ્ય વિસ્તારના નાગદેવતાના મંદિરોમાં ભાવિક ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો.જયારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ પુજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. આ ઉ૫રાંત સુરેન્દ્રનગર અને વઢવાણ સહિત જોરાવરનગર, રતનપર, ૮૦ ફુટ રોડ, ટી.બી.હોસ્પીટલ, ગોકુલ નગર, દાળમીલ સહિતના વિસ્તારોમાં આવેલ નાગદેવતાના મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને નાગદેવતાની પુજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.