વડોદરાઃ કાશી અને મથુરાની વિવાદિત જગ્યાઓ પણ મુસ્લિમોએ હિન્દુઓને સામે ચાલીને સોંપી દેવી જોઈએ અને બીજી તરફ હિન્દુઓએ આ સિવાયના તમામ વિવાદિત ધર્મસ્થળો પરનો દાવો જતો કરવો જોઈએ તેવું મંતવ્ય આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના પૂર્વ રિજનલ ડાયરેકટર કે કે મોહમ્મદે પત્રકારો સાથેની વાતચીતમાં વ્યક્ત કર્યું હતું.
શહેરની સંસ્થા હેરિટેજ ટ્રસ્ટ દ્વારા વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે આજે કે કે મોહમ્મદના એક લેકચરનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં ૧૯૭૬માં બાબરી મસ્જિદની નીચે ઉત્ખન્ન કરનારી ટીમમાં કે કે મોહમદ સામેલ હતા અને તેમના મતે મસ્જિદની નીચેથી જે અવશેષો મળ્યા હતા તે ૧૦ થી ૧૨મી સદી વચ્ચે બંધાયેલા મંદિરના હતા.
તેમણે એક સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, કાશી અને મથુરાની મસ્જિદની નીચે ઉત્ખનનની પણ જરુર નથી.આ જગ્યાઓને જોઈને જ કહી શકાય છે કે, અહીંયા મંદિર તોડીને મસ્જિદ બનાવાઈ છે.મોગલ સમ્રાટ ઔરંગઝેબના કાર્યકાળમાં લખાયેલા માસિર ઈ આલમગિરિ નામના દસ્તાવેજમાં પણ આ બાબતનો ઉલ્લેખ છે.જે રીતે મુસ્લિમો માટે મક્કા- મદીનાનું મહત્વ છે તે રીતે હિન્દુઓ માટે અયોધ્યા, કાશી અને મથુરાનું મહત્વ છે.માટે કાશી-મથુરા પરથી મુસ્લિમોએ પોતાનો દાવો જતો કરવો જોઈએ.હિન્દુ ધર્મ મૂળભૂત રીતે ઉદારમતવાદી છે અને જો આ બે સ્થળો હિન્દુઓને સોંપાય તો અન્ય તમામ વિવાદિત ધાર્મિક સ્થળો પરથી મોટાભાગના હિન્દુઓ દાવો જતો કરવા તૈયાર થઈ જશે.જેનાથી ભારતમાં મંદિર- મસ્જિદના ઝઘડાનો કાયમી ઉકેલ આવી શકે છે.
બ્રિટિશકાળમાં થયેલા સંશોધનના કારણે
બૌધ્ધ ધર્મના મૂળિયા ભારતમાં નંખાયા હતા તેની જાણકારી મળી
ડાબેરી ઈતિહાસકારોની ભૂલો સુધારવામાં અતિશિયોક્તિ ના થાય તે જોવાની પણ જરુર
કે કે મોહમ્મદે કહ્યું હતું કે, બ્રિટિશ શાસનકાળ દરમિયાન ભારતીય સંસ્કૃતિ, વિરાસત અને ઈતિહાસની ઘણી જાણકારી પહેલી વખત સામે આવી હતી.આ સમયગાળામાં થયેલા સંશોધનોના કારણે ખબર પડી હતી કે, બૌધ્ધ ધર્મના મૂળિયા ભારતમાં નંખાયા હતા અને ભગવાન બુધ્ધ ભારતના હતા.એ પછી અન્ય દેશોમાં બૌધ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર થયો હતો.આ જ રીતે હજારો વર્ષ પહેલાની મોહેંજો દરો તેમજ હરપ્પન સંસ્કૃતિ અંગે પહેલી વખત દુનિયાને ખબર પડી હતી.ગ્રીસની જેમ ભારતમાં પણ વૈશાલીમાં લોકશાહી સિસ્ટમ હતી તેવું બ્રિટિશકાળમાં થયેલા સંશોધનમાં જાણવા મળ્યું હતું.ભારતમાં જોકે આઝાદી બાદ ડાબેરી ઈતિહાસકારોનો પ્રભાવ વધ્યો હતો અને તેમણે પોતાની રીતે દેશના ઈતિહાસને લખવાનું શરુ કર્યું હતું.વર્તમાન સરકારના શાસનકાળમાં ઈતિહાસને સુધારવામાં આવી રહ્યો છે પણ આ કામગીરી વૈજ્ઞાાનિક ઢબે થવી જોઈએ.તેમાં તથ્યોને દર્શાવવામાં અતિશયોક્તિ ના થવી જોઈએ.
તાજમહાલ હિન્દુ સ્થાપત્ય હોવાનો દાવો ખોટો
આગ્રામાં પણ ફરજ બજાવી ચૂકેલા કે કે મહોમ્મદે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, તાજમહાલ મૂળે હિન્દુ સ્મારક હોવાનો દાવો ખોટો છે.મેં પોતે તાજમહાલનું નિરિક્ષણ કર્યું છે.તાજમહેલની ડિઝાઈનમાં આર્ચ, મિનારેટ અને ડોમનો સમાવેશ થાય છે.આ ઈસ્લામિક શૈલી છે અને હિન્દુ સ્થાપત્યોની ડિઝાઈન આ પ્રકારની નથી હોતી.તેમજ તેમાં વપરાયેલા માર્બલમાં થયેલી કોતરણી પણ અલગ છે.ઐતિહાસિક દસ્તાવેજો દર્શાવે છે કે, આ જગ્યા શાહજહાંએ ખરીદી હતી અને પછી તેના પર તાજમહાલ બનાવ્યો હતો.
વર્તમાન સરકારમાં એએસઆઈની ઉપેક્ષા
કે કે મહોમ્મદે કહ્યું હતું કે, મોદી સરકારનું શાસન આવ્યા પછી અપેક્ષાથી વિરુધ્ધ એએસઆઈની ઉપેક્ષા થઈ રહી છે.એએસઆઈના અધિકારીઓની નાણાકીય સત્તા પર કાપ મૂકી દેવાયો હોવાથી ઐતિહાસિક સ્થાપત્યોની જાળવણી સહિતની કામગીરી પર ગંભીર અસર પડી રહી છે.એએસઆઈની કામ કરવાની સ્વતંત્રતા પણ છીનવાઈ રહી છે.


