Gujarat

નટવર પાર્ક પાસે પાલિકાએ ખાડાનું બુરાણ નહીં કરતા લોકોને હાલાકી

By GS TEAM
18 Jul 20251 min read
નટવર પાર્ક પાસે પાલિકાએ ખાડાનું બુરાણ નહીં કરતા લોકોને હાલાકી

વઢવાણ ૮૦ ફૂટ રોડ પર આવેલી

પાલિકાએ ૧૫ દિવસ અગાઉ પાણીની લાઇન રિપેર કરવા ખાડો ખોદ્યો હતો, બુરાણ કરવા માંગ

સુરેન્દ્રનગર -  વઢવાણ ૮૦ ફૂટ રોડ પર આવેલી નટવર પાર્ક પાસે પાલિકાએ ૧૫ દિવસ પહેલા પાણીની લાઇન રિપેર કરવા ખોદેલા ખાડાનું બુરાણ નહીં કરતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અકસ્માત સર્જાય તે પહેલા બુરાણ કરવા સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે.

નટવર પાર્કના દરવાજા સામે અંદાજે ૧૫ દિવસ પહેલા પાણીની પાઈપ લાઈનમાં લીકેજને કારણે મનપા તંત્ર દ્વારા લાઈનનં રિપેરિંગ કરવા રસ્તા પર મોટો ખાડો કર્યો હતો. રિપેરિંગ બાદ પણ તંત્ર દ્વારા આ ખાડાનું બુરાણ કે અન્ય કામગીરી હાથ ધરવામાં ન આવતા છેલ્લા ૧૫ દિવસથી આ વિસ્તારમાં રહેતા રહિશો, વાહનચાલકો સહિતનાઓને મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે. તેમજ ખાડો ઉંડો હોવાથી અકસ્માત થવાનો ભય પણ સતાવી રહ્યો છે. જે અંગે રજુઆતો બાદ પણ કોઈ જ ઉકેલ ન આવતા લોકોમા રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે તાત્કાલીક કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા ખડાનું યોગ્ય બુરાણ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. જે મામલે જાગૃત નાગરિક દ્વારા સોશ્યલ મીડીયામાં વિડિયો વાયરલ કરી સમસ્તાને ઉજાગર કરવાના પ્રયાસો હાથધર્યા હતા.