Get The App

મનપાની સ્ટેન્ડિંગમાં રોડ સહિતના કામો માટે રૂા. 61.45 કરોડના ખર્ચને મંજૂરી

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
મનપાની સ્ટેન્ડિંગમાં રોડ સહિતના કામો માટે રૂા. 61.45 કરોડના ખર્ચને મંજૂરી 1 - image


- કામોને ફટાફટ મંજૂરી મળે છે પરંતુ સમયસર કામ થતા નથી 

- અકવાડાથી ફોરલેન પેવર રોડ બનાવવા સહિતના કુલ 26 ઠરાવને બહાલી અપાઈ, ચોમાસા પૂર્વે ડ્રેનેજ વિભાગના કામ પૂર્ણ કરવા સૂચના અપાઇ 

ભાવનગર : ભાવનગર મહાપાલિકામાં આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં અકવાડાથી ફોરલેન પેવર રોડ બનાવવા તથા, વાઘાવાડી રોડ રિકાર્પેટ કરવા સહિતના કામો માટે રૂા.૬૧.૪૫ કરોડના ખર્ચને મંજૂરી આપવા સહિત ર૬ ઠરાવને બહાલી અપાઈ હતી. 

મહાપાલિકાના હોલ ખાતે આજે ચેરમેનના અધ્યક્ષસ્થાને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં અંદાજે રૂા. ૬૧.૪પ કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં દિલબહાર પાણીની ટાંકીથી કાળાનાળા સર્કલ સુધી વાઘાવાડી રોડ કુલ રૂા. ૧પ.૪૭ કરોડના ખર્ચે રિકાર્પેટ કરવો, મેટલ ગ્રાઉટીંગ, આરસીસી રોડ, વડવા વોર્ડમાં પાણીની લાઈન અપગ્રેડેશન કરવી, અકવાડા ગુરૂકુળથી મહાપાલિકાની હદ સુધી તથા બ્રીજથી માતૃધામ સુધી ફોરલેન પેવર રોડ બનાવવો સહિતના કામનો સમાવેશ થાય છે. ઉલ્લેખનિય છે કે, બેઠકમાં વિકાસના કામોને ફટાફટ મંજૂરી આપવામાં આવે છે પરંતુ મહાપાલિકામાં મોટાભાગના કામ સમય મર્યાદામાં થતા નથી આ પણ અધુરૂં હોય તેમ ધીમી કામગીરી છતાં સ્ટેન્ડિંગ કમિટિ દ્વારા કડક પગલા લેવામાં આવતા નથી. 

ઉપરાંત બેઠકના અંતે ચેરમેને ચોમાસા પૂર્વે ડ્રેનેજ વિભાગના કામ પૂર્ણ કરવા  વિભાગીય અધિકારીને સૂચના આપી હતી. મહત્વપૂર્ણ છે કે, હાલમાં શહેરમાં ઠેર-ઠેર ચાલી રહેલાં ડ્રેનેજ વિભાગના કામના પગલે હાલ ઘણા રોડ ખોદી નાખવામાં આવ્યા છે ત્યારે કામગીરી ઝડપથી પૂર્ણ કરી વરસાદ આવે તે પૂર્વે રોડ રિપેરીંગ કરવા જરૂરી છે.  

પાણીના તળ ઉંચા લાવવા નગરસેવકો ગ્રાન્ટ ફાળવશે 

શહેરમાં ભૂગર્ભ જળના તળમાં વધારો કરવા તથા જળ સંચયની ક્ષમતામાં વધારો કરવા શહેરમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ, રીચાર્જીંગ સ્ટ્રક્ચર સરકારની જનભાગીદારીની યોજના હેઠળ આવરી લેવા આજે સ્ટેન્ડીંગ કમિટી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. પાણીના તળમાં વધારો કરવાની આ યોજનામાં નગરસેવકો રૂા. ર-ર લાખની ગ્રાન્ટ ફાળવશે અને આ માટે કાર્યક્રમ રાખી લોકોને યોજના અંગે માહિતી આપવામાં આવશે તેવો નિર્ણય સ્ટેન્ડીંગ કમિટિમાં કરવામાં આવ્યો છે. 

ગાર્ડન નિર્માણમાં આર્કિટેકને 50 ટકા ફી આપવા નિર્ણય 

શહેરમાં અધેવાડા ટી.પી. સ્કીમ નં.૦૭, સીદસર રોડ, ઇસ્કોન મંદિર સામે ગાર્ડન ડેવલોપમેન્ટના કામમાં પ્રોજેક્ટ સ્થળ બદલાયું છે. આર્કિટેક ચિંતન સાચપરા દ્વારા ઉપરોક્ત સ્થળમાં બે સ્ટેજ સુધીનું બીલ મુક્યું છે.જો કે, આ સ્થળે કામ થયેલ ના હોય, સ્થળ બદલાયેલું હોવાથી ઓડિટ નોંધ મુજબ આર્કિટેકના બીલ ચુકવવાની મંજુરી અંગે નિર્ણય કરવાનો હતો. આ બાબતે  કમિટિમાં હાલ પ૦ ટકા ફી આપવાનું નક્કી કરાયું છે. 

Tags :