મુંબઇના વેપારીને ચેક રિટર્ન કેસમાં 1 વર્ષની કેદ
ધ્રાંગધ્રાની કોર્ટે સજાની સાથે દંડ પણ ફટકાર્યો
ધ્રાંગધ્રાના વેપારી પાસેથી ઉછીના ૫ લાખ લીધા બાદ પરત ન આપતા કેસ દાખલ કર્યો હતો
સુરેન્દ્રનગર - ધ્રાંગધ્રામાં રહેતા વેપારીએ મુંબઇમાં રહેતા મિત્રને ૨૦૨૧માં હાથઉછીના પાંચ લાખ રૃપિયા આપ્યા હતા. જે નક્કી થયા મુજબ ચેક આપ્યા હતા. પરંતુ ચેક રિટર્ન થતાં તે અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે રકમ નહીં ચુકવનાર શખ્સને એક વર્ષથી સાદી કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે.
ધ્રાંગધ્રાના વેપારી મહેશભાઈ ભલજીભાઈ સોલંકીએ મિત્ર હિતેષકુમાર રેવતીનંદન રાવલ (રહે.મુંબઈ)ને ૨૦૨૧માં ધંધા માટે ચેક થકી કુલ રૃા.૫ લાખ આપ્યા હતા. એપ્રિલ-૨૦૨૨માં મહેશભાઈને પરત ચુકવવાની ખાત્રી અને નોટરી પણ કરી આપ્યું હતું. નક્કી થયા મુજબ હિતેષકુમારએ મહેશભાઈને ૨૦૨૨ની સાલના રૃા.૫ લાખના ચેક આપ્યા હતા. જે ચેક મહેશભાઈએ બેંક ખાતામાં જમા કરાવતા બેલેન્સના અભાવે રિટર્ન થયા હતા. આથી મહેશભાઈએ વકીલ મારફતે નોટિસ પાઠવી હતી પરંતુ તેનો પણ કોઈ જવાબ ન આપતા અંતે ૨૦૨૨માં ધ્રાંગધ્રા એડીશ્નલ ચિફ જ્યુડીશ્યલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જે તાજેતરમાં ચાલી જતા દસ્તાવેજી અને મૌખીક પુરાવાઓના આધારે ધ્રાંગધ્રાના કોર્ટે હિતેષકુમાર રેવતીનંદન રાવલને દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા અને ફરિયાદીને થયેલા નુકસાનના બદલામાં રૃા.૪.૫૦ લાખ ચુકવવાનો ચુકાદો આપ્યો છે.