Get The App

ટેક્સટાઈલ કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ એમોનિયાના લીકેજની ચાડી ખાતું કાપડ બનાવ્યું

Updated: Jun 27th, 2025

GS TEAM

Google News
Google News
ટેક્સટાઈલ કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ એમોનિયાના લીકેજની ચાડી ખાતું કાપડ બનાવ્યું 1 - image

વડોદરાઃ એમોનિયાનો ઉપયોગ ફર્ટિલાઈઝર અને  ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રી, આઈસ ફેકટરી, ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ, પ્રિન્ટિંગ પ્રોસેસ, કોસ્મેટિક પ્રોડ્કસ બનાવવામાં એમ સંખ્યાબંધ ક્ષેત્રોમાં થાય છે.એમોનિયા લીકેજ વ્યાપક પ્રમાણમાં થાય તો આવા ઉદ્યોગોમાં કામ કરતા લોકો માટે ખતરો પણ બની શકે છે.આ બાબતને ધ્યાનમાં રાખીને એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીની ટેક્સટાઈલ કેમેસ્ટ્રીની માસ્ટર ઓફ એન્જિનિયરિંગની વિદ્યાર્થિની પ્રિયલ ઠકકરે વિભાગના વરિષ્ઠ પ્રોફેસર ડો.જે એન શાહના માર્ગદર્શન હેઠળ એવું કાપડ તૈયાર કર્યું છે જે એમોનિયા લીકેજને તરત પારખી શકે છે.

પ્રિયલ ઠકકરનું કહેવું છે કે, લગભગ એક વર્ષથી આ વિષય પર સંશોધન ચાલી રહ્યું છે.એમોનિયા રંગ વગરનો ગેસ છે.વાતાવરણમાં વધારે પ્રમાણમાં ભળે તો લોકોના જીવ માટે હાનિકારક પણ છે.અમે પ્રોપેન નાઈટ્રાઈલનો અને બીજા સંખ્યાબંધ કેમિકલનો ઉપયોગ કરીને વિશેષ પ્રકારની ડાઈ તૈયાર કરી છે.આ ડાઈથી અમે પોલિસ્ટર, નાયલોન અને બાંસ પ્રકારના કાપડ પર બ્લોક પ્રિન્ટિંગ કર્યું છે.જે મૂળ પીળા રંગનું હોય છે.  કાપડ જેવું એમોનિયાના સંપર્કમાં આવે છે તેની સાથે જ તેનો રંગ બદલાઈને નારંગી કે ઘેરો નારંગી થઈ જાય છે.પ્રિયલ ઠક્કર અને ડો.જે એમ શાહના  કહેવા પ્રમાણે અત્યારે અમે લેબોરેટરીમાં તેના પ્રયોગો હાથ ધર્યા છે.એમોનિયાને પારખી શકે તેવું કાપડ અત્યારે બે થી ત્રણ વખત ઉપયોગમાં લઈ શકાય તેવું લાગે છે.કર્મચારીઓને આ જ કાપડનો યુનિફોર્મ આપવાનો,  કાપડનો એક ટુકડો તેના પર લગાવવાનો કે ફેકટરીમાં વિવિધ હિસ્સાઓમાં કાપડને લગાવવાનો વિકલ્પ પણ વિચારી શકાય છે.તેના પર અમે અત્યારે વધારે સંશોધન કરી રહ્યા છે.જે પછી આ કાપડ પાછળ કેટલો ખર્ચ થઈ શકે છે તેનો ચોક્કસ અંદાજ આવશે.

ઉદ્યોગોમાં વપરાતા સેન્સરનો સસ્તો વિકલ્પ બની શકે છે

એમોનિયાના સંપર્કમાં આવતા જ  ૬૦ થી ૯૦ સેકન્ડમાં કાપડનો રંગ બદલાઈ જાય છે 

વિદ્યાર્થિનીના જણાવ્યા પ્રમાણે  અત્યારે એમોનિયાનો ઉપયોગ કરતા ઉદ્યોગોમાં એમોનિયા લિકેજની ચેતવણી આપતા સેન્સરો મૂકવામાં આવે છે.જોકે આ સેન્સરો ઘણા મોંઘા હોય છે.ઉપરાંત તેનું આયુષ્ય દોઢ થી બે વર્ષનું હોય છે.સેન્સરની એક ચોક્કસ રેન્જ પણ હોય છે તેમજ અમુક માત્રાથી વધારે એમોનિયા જો વાતાવરણમાં ભળ્યો હોય તો જ આ સેન્સર તેની ચેતવણી આપી શકે છે.નાના અને મધ્યમ કદના કેટલાક ઉદ્યોગોને તો સેન્સર મૂકવાનું પોસાય તેમ પણ હોતું નથી.અમે લેબોરેટરીમાં આ કાપડનું ૨૫ પીપીએમ( પાર્ટિકલ પર મિલિયન), ૫૦ પીપીએમ, ૭૫ પીપીએમ અને ૧૦૦ પીપીએમ એમોનિયા વાતાવરણમાં ભળ્યો હોય તેવી ચાર સ્થિતિમાં ટેસ્ટિંગ કર્યું હતું અને એમોનિયાના પાર્ટિકલ્સના સંપર્કમાં આવ્યાના માત્ર ૬૦ થી ૯૦ સેકન્ડમાં કાપડનો રંગ બદલાઈ ગયો હતો.આ સંશોધનને મહારાષ્ટ્રના ઈચ્છલકરનજીમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ સિમ્પોઝિયમમાં ત્રીજુ સ્થાન પ્રાપ્ત થયું હતું.


Tags :