પદ્મશ્રી એવોર્ડ જેટલો જ આંનદ યુનિ.નું સન્માન સ્વીકારીને થાય છે
વડોદરાઃ ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત તેમજ યુપીએસસીના રેન્કર પૂર્વ વિદ્યાર્થીઓને આજે એમ.એસ.યુનિવર્સિટી દ્વારા યોજાયેલા એક વિશેષ સમારોહમાં ચાન્સેલર શુભાંગિનીદેવી ગાયકવાડ તેમજ વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
જેમાં તાજેતરમાં પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત કરનાર અને એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થી તેમજ કોમ્પ્યુટર ક્ષેત્રમાં ધરખમ પરિવર્તન લાવનાર યુએસબી( યુનિવર્સલ સિરિયલ બસ)ના શોધક અજય ભટ્ટે કહ્યું હતું કે, એક એન્જિનિયર તરીકે તમારે સતત નવા પડકારો ઝીલવાના હોય છે અને સમસ્યાઓનો ઉકેલ લાવવાનો હોય છે.જેના માટે તમે મેળવેલું શિક્ષણ ઘણું કામ લાગતું હોય છે.માતૃસંસ્થામાં સન્માનિત થવું મારા માટે ગૌરવની વાત છે.
બીજી તરફ એમ.એસ.યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થી તથા પૂર્વ અધ્યાપક અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા ચિત્રકાર રતન પારીમૂએ કહ્યું હતું કે, જેટલો આનંદ પદ્મશ્રી એવોર્ડ સ્વીકારતા થયો હતો તેટલો જ આનંદ યુનિવર્સિટીનું સન્માન મેળવીને થઈ રહ્યો છે.આ યુનિવર્સિટીનો હું વિદ્યાર્થી હતો તે મારા માટે સૌથી મોટી ઓળખ છે.
યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થી અને પૂર્વ અધ્યાપક તેમજ દાયકાઓથી રક્તપિત્તના દર્દીઓની સેવા કરતા સુરેશ સોનીને પણ પદ્મક્ષી એવોર્ડ એનાયત કરાયો હતો.તેઓ નાદુરસ્ત તબિયતના કારણે સમારોહમાં હાજર નહોતા રહી શક્યા.તેમના વતી હાજર રહેતા તેમના પત્ની ઈન્દિરાબેન સોનીએ કહ્યું હતું કે,આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને તેમનું ઘડતર થયું છે.સુરેશભાઈ, હું અને અમારો આખો પરિવાર રક્તપિત્તના દર્દીઓની સેવા કરે છે.જેમ જેમ એવોર્ડની સંખ્યા વધી રહી છે તેમ તેમ અમારી જવાબદારી પણ વધી રહી છે.
મારા પિતા મારો પ્રેરણાસ્ત્રોત રહ્યા છે
યુપીએસસીમાં સમગ્ર દેશમાં બીજો ક્રમ મેળવનાર યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની પૂર્વ વિદ્યાર્થિની હર્ષિતા ગોયલે કહ્યું હતું કે, સીએનો અભ્યાસ કરતી હતી ત્યારે યુપીએસસી અંગે વિચાર્યું પણ નહોતું.મારા પિતા મારા માટે સતત પ્રેરણા સ્ત્રોત રહ્યા છે.૨૦૧૪માં મારી માતાના અવસાન બાદ મારા પિતા અને પરિવારના બીજા સભ્યોનો મને સતત ટેકો મળ્યો છે.યુનિવર્સિટી દ્વારા સન્માનિત થવાની લાગણી અદભૂત છે.
યુનિ.માં સફળતા માટેના ત્રણ ગુણ શીખવા મળ્યા
યુપીએસસી દ્વારા લેવાતી ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસની પરીક્ષામાં દેશમાં ૮૬મો ક્રમે મેળવનારા ભાવેશ રોયડા યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થી છે.તેમણે કહ્યું હતું કે, સફળતા માટે સાતત્ય- સ્વયં શિસ્ત અને સ્વ નિયંત્રણ બહુ જરુરી છે અને આ ત્રણે વસ્તુઓ મને યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન શીખવા મળી છે.યુનિવર્સિટીએ મને સફળતા માટેનું પ્લેટફોર્મ પુરુ પાડયું હતું.