Gujarat

VIDEO | નર્મદા: સાંસદ મનસુખ વસાવા ભાન ભૂલ્યા! મંચ પરથી ચૈતર વસાવા અને વિપક્ષને બેફામ ગાળો આપી

By GS TEAM
26 Feb 20262 mins read
TukuTouch Logo
દેડિયાપાડા ખાતે આયોજિત એક અભિવાદન કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં જ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પોતાની મર્યાદા ઓળંગી હોવાનો મામલો સામે આવ્યો છે. વિપક્ષ અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર પ્રહાર કરતા સાંસદ એટલાં ઉશ્કેરાઈ ગયા હતા કે, તેમણે જાહેર મંચ પરથી અપશબ્દોનો મારો ચલાવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO | નર્મદા: સાંસદ મનસુખ વસાવા ભાન ભૂલ્યા! મંચ પરથી ચૈતર વસાવા અને વિપક્ષને બેફામ ગાળો આપી

Mansukh Vasava Statement : દેડિયાપાડા ખાતે આયોજિત એક અભિવાદન કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં જ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પોતાની મર્યાદા ઓળંગી હોવાનો મામલો સામે આવ્યો છે. વિપક્ષ અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર પ્રહાર કરતા સાંસદ એટલાં ઉશ્કેરાઈ ગયા હતા કે, તેમણે જાહેર મંચ પરથી અપશબ્દોનો મારો ચલાવ્યો હતો.

શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠાવતા સાંસદ લાલઘૂમ

તાજેતરમાં વિધાનસભા સત્ર દરમિયાન ચૈતર વસાવાએ આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ બાબતને લઈને મનસુખ વસાવાએ મંચ પરથી બળાપો કાઢતા કહ્યું કે, "આદિવાસી વિસ્તારોમાં સરકારે સારી શાળાઓ અને કોલેજો બનાવી છે, પણ પેલા લલવાઓને આ વિકાસ દેખાતો નથી." એટલું જ નહીં, તેમણે આગળ વધતા ચૈતર વસાવા અને વિરોધ પક્ષના નેતાઓ માટે 'ડફોળ' અને 'હરામીઓ' જેવા અશોભનીય શબ્દોનો પ્રયોગ પણ કર્યો હતો.

AAP અને કોંગ્રેસ પર વરસ્યા

સાંસદે મંચ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરનારાઓ પર નિશાન સાધતા કહ્યું કે, "મોદી સાહેબ દેડિયાપાડા આવ્યા અને આ લોકો તેમની ટીકા કરે છે." તેમણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ઉલ્લેખ કરતા મનસુખ વસાવાએ ચીમકી ઉચ્ચારી હતી કે, "આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સુપડા સાફ કરી નાખવામાં આવશે."

આ પણ વાંચો: અમરેલી: ખોટા કેસ અને બજેટ ફાળવણી મુદ્દે ઠાકોર સમાજમાં રોષ, પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર

ગરીમા ભૂલ્યા સાંસદ?

એક તરફ જ્યારે નાયબ મુખ્યમંત્રી મંચ પર હાજર હોય, ત્યારે સિનિયર સાંસદ દ્વારા વિરોધ પક્ષ સામે આ પ્રકારની અશોભનીય ભાષાનો પ્રયોગ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. ચૈતર વસાવાએ ઉઠાવેલા શિક્ષણના મુદ્દે લોકશાહી ઢબે જવાબ આપવાને બદલે સાંસદની આ ગાળાગાળી રાજકીય વર્તુળોમાં ગરમાવો લાવી રહી છે.