Gujarat

ગોધરા-ડેરોલમાં કોરોનાકાળથી બંધ ટ્રેનોના સ્ટોપેજ ફરી શરૂ કરવા સાંસદની માંગ

By GS TEAM
27 Nov 20252 mins read
TukuTouch Logo
આણંદ–ગોધરા સેક્શનનો ઉપયોગ કરી અમદાવાદ માટે નવી રેલ સેવા શરૂ કરવા સૂચન

Summarized by AI; it may make mistakes. Check important info

ગોધરા-ડેરોલમાં કોરોનાકાળથી બંધ ટ્રેનોના સ્ટોપેજ ફરી શરૂ કરવા સાંસદની માંગ

Vadodara Raiway Station : વડોદરા રેલવે વિભાગના ડી.આર.એમ. રાજુ ભડકે પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ સાથે ગોધરા સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેમણે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ચાલી રહેલા વિકાસ કાર્યોનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું અને અધિકારીઓ પાસેથી કાર્યની પ્રગતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

આ અંગે રાજુ ભડકેએ જણાવ્યું હતું કે, અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળનું કામ આગળ વધી રહ્યું છે અને ડિસેમ્બર સુધી તેને પૂર્ણ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ગોધરા ખાતે યોજાયેલી બેઠકમાં મોરવા હડફના ધારાસભ્ય નિમિશાબેન સુથાર અને ગોધરા એ.પી.એમ.સી.ના ડિરેક્ટર માલવદીપસિંહ રાઉલજીએ રેલવે સંબંધિત સૂચનો રજૂ કર્યા હતા. સાંસદે ગોધરા નજીકના સમપાર ફાટકો પર આર.ઓ.બી./આર.યુ.બી.ના કામમાં રાજ્ય સરકાર સાથે સમન્વય વધારી ગતિ લાવવા, ગોધરા તથા ડેરોલ સ્ટેશન પર કોરોનાકાળથી બંધ સ્ટોપેજ ફરી શરૂ કરવા અને ગોધરા પરથી દિલ્હી જતી ટ્રેનોનું સ્ટોપેજ આપવામાં આવે તેવો સૂચન કર્યા હતા. ઉપરાંત આણંદ–ગોધરા સેક્શનનો ઉપયોગ કરી અમદાવાદ માટે નવી રેલ સેવા શરૂ કરવાની માંગ પણ તેમણે કરી હતી. મહિલા ધારાસભ્યએ રતલામ મંડળના સંત રોડ સ્ટેશન પર વલસાડ ઇન્ટરસિટી ટ્રેનનું સ્ટોપેજ અપાવવા સૂચન કર્યું હતું. ડી.આર.એમ.એ આશ્વાસન આપ્યું કે, સંસદ સભ્યના માર્ગદર્શન મુજબ ગોધરા સ્ટેશનના વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ થશે. સાથે જ ગોધરા વિસ્તારમાં બાકી રહેલા આર.ઓ.બી./આર.યુ.બી.ના કામમાં આરએન્ડબી વિભાગ અને ઇરકૉન સાથે સંકલન કરી વેગ અપાશે. કોરોનાકાળથી બંધ ટ્રેન સ્ટોપેજ ફરી શરૂ કરવા માટે પૂરા પ્રયત્નો થશે તેવું પણ તેમણે જણાવ્યું હતું.