Get The App

વિજય રૂપાણીના નિધનથી શોકઃ આજે રાજકોટ અડધો દિવસ સ્વૈચ્છિક બંધ

Updated: Jun 13th, 2025

GS TEAM


Google News
Google News
વિજય રૂપાણીના નિધનથી શોકઃ આજે રાજકોટ અડધો દિવસ સ્વૈચ્છિક બંધ 1 - image


રાજકોટમાં પ્રોટોકોલ મુજબ અંતિમ યાત્રાની તૈયારી  : પ્રાથમિક, માધ્યમિક સ્કૂલો બંધ રહેશે : બજારો, ઉદ્યોગ-ધંધા બપોરે 2 વાગ્યા સુધી બંધ રખાશે

રાજકોટ, : મૂળ મ્યાંમારમાં યાંગોનમાં જૈનવણિક પરિવારમાં જન્મેલા તા. 2-8-1956 ના જન્મેલા અને માત્ર 4 વર્ષની ઉંમરથી રાજકોટ આવીને આ શહેરને પોતીકું બનાવનાર 68  વર્ષના રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગઈકાલે અમદાવાદથી લંડન તેમની પુત્રીને મળવા જતા હતા ત્યારે વિમાન તુટી પડતા અચાનક કરૂણ મૃત્યુ થતા તેમના વતન એવા રાજકોટમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને આવતીકાલે બપોરે 2 વાગ્યા સુધી અડધો દિવસ બજારો સહિત સ્વૈચ્છિક બંધનો નિર્ણય વિવિધ સંસ્થાઓએ જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે વિજયભાઈની અંતિમ યાત્રા પણ રાજકોટમાં યોજાશે જે માટે તૈયારીઓ શરૂ થઈ છે. 

રાજકોટમાં વિવિધ સંસ્થાઓ (1) ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (2) શહેર કોંગ્રેસ સમિતિ (3) રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસીએશન (4) ગુડ્ઝ એન્ડ ટ્રાન્સપોર્ટ એસોસીએશન (5) હોલસેલ ટેક્સટાઈલ્સ મરચન્ટ એસોસીએશન (6) સર લાખાજીરાજ રોડ મરચન્ટ એસો. તેમજ અન્ય મંડળો, સંસ્થાઓએ ઉંડા શોકની લાગણી વ્યક્ત કરીને આવતીકાલે શનિવારે તા. 14ના તમામ બજારો બપોરના 2 વાગ્યા સુધી બંધ રાખીને સદ્ગત  વિજયભાઈને શ્રધ્ધાંજલિ આપવા નિર્ણય લીધો છે અને અપીલ કરી છે. 

આ ઉપરાંત રાજકોટ શહેર આચાર્ય સંઘ, શહેર શાળા સંચાલક મંડળે  આવતીકાલે તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અનધ્યયન રાખવાનો નિર્ણય જાહેર કરાયો છે. આમ, આવતીકાલે ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલો પણ  બંધ રહેશે.  દરમિયાન વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રા તેઓ પૂર્વ મુખ્યમંત્રી હોય પૂરા પ્રોટોકોલ સાથે રાજકોટમાં યોજવામાં આવશે. જો કે વિજયભાઈના બહેનના ડી.એન.એ.સેમ્પલ લેવાયેલા છે તે મેચ થયા બાદ આ માટેની તારીખ જાહેર કરાશે. રાજકોટમાં પ્રકાશ સોસાયટીમાં આવેલા તેમના ઘરથી અંતિમયાત્રા પ્રસ્થાન કરશે અને જ્યાં તેઓ મોટા થયા તે દિવાનપરા ખાતે પણ અંતિમયાત્રા  પહોંચશે. આ માટે વ્યવસ્થા માટે વિવિધ ટીમો બનાવવા સહિત તૈયારીઓ શરૂ કરાઈ છે. 

DNA મેચ થયા બાદ અંતિમવિધિ કરાશે સદગત્ ગત રૂપાણી અને નરશી સગપરીયા દિકરીને અને મુક્તાબેન પુત્રને મળવા લંડન જઈ રહ્યા હતો 

પૂર્વ મુખ્યમંત્રી સહિત રાજકોટના 3 નાગરિકોના પ્લેનક્રેશમાં મૃત્યુ 

રાજકોટ, છ અમદાવાદમાં બોઈંગ 787  ડ્રીમલાઈનર વિમાન દુર્ઘટનામાં યાત્રિકોના ડ્રીમ ચકનાચુર થઈ ગયા છે તેમાં રાજકોટના ત્રણ નાગરિકોના મૃત્યુ થયા છે જેનું કન્ફર્મેશન ડીએનએ ટેસ્ટ પછી થશે. તુટી પડીને ભસ્મીભૂત થયેલા વિમાનમાં સવાર રાજકોટના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત  કાલાવડ રોડ પર રહેતા એડવોકેટ નરશીભાઈ સગપરીયા અને કનકનગરમાં રહેતા મુક્તાબેન ડાંગર (ઉ. 65)નું પણ મૃત્યુ થયાનું જાણવા મળ્યું છે.

વિજય રૂપાણી ઉપરાંત નરશીભાઈ પણ લંડનમાં રહેતા તેમની દિકરીને મળવા માટે જઈ રહ્યા હતા. જ્યારે વૃધ્ધવયના મુક્તાબેનનો છેલ્લા દસ વર્ષથી એવો ક્રમ છે કે તેઓ વર્ષમા 6 મહિના રાજકોટ અને 6 મહિના પુત્રને ત્યાં રહે છે. તેમના પુત્ર ત્યાં ભાડે રહેતા તેમણે ઘરનું મકાન લીધું હોય ઉત્સાહથી તે લંડન જવા નીકળ્યા હતા ત્યાં આ દુર્ઘટના ઘટી છે.  જો કે પૂર્વમુખ્યમંત્રી સહિત ત્રણેય નાગરિકોના પરિવારજનોના ડી.એન.એ. અમદાવાદ ખાતે લેવાઈ ગયા છે અને આ ડી.એન.એ.મેચ થયા પછી પરિવારજનોને મૃતદેહ સોંપાશે અને ત્યારબાદ તેની અંતિમ સંસ્કાર, શોકસભા વગેરે થઈ શકશે. 

Tags :