ધ્રાંગધ્રાના મુખ્ય પ્રવેશ દ્વાર પર મસમોટા ખાડાથી વાહનચાલકો પરેશાન

તંત્ર દ્વારા કામગીરીમાં વિલંબ થતા લોકોમાં રોષ
કચ્છ,
મોરબી અને હળવદ તરફથી આવતા પ્રવાસીઓને પડી રહી છે પારાવાર મુશ્કેલી
ધ્રાંગધ્રા - ધ્રાંગધ્રા
શહેરના મુખ્ય પ્રવેશદ્વાર પર મસમોટા ખાડાઓએ વાહનચાલકો અને રાહદારીઓની હાલત કફોડી
કરી દીધી છે. કચ્છ, મોરબી અને હળવદ જેવા મહત્વના શહેરોને
જોડતા આ મુખ્ય માર્ગ પર પ્રવેશતા જ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી
રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ રોડનું નિર્માણ હજુ થોડા સમય પહેલા
જ કરવામાં આવ્યું હતું, છતાં ટૂંકા ગાળામાં રોડની હાલત દયનીય
બની ગઈ છે.ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ ખાડાઓ જીવલેણ સાબિત થઈ શકે તેમ છે,
જેના કારણે અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે. આ ગંભીર મુદ્દે તંત્રને
વારંવાર રજૂઆતો કરવા છતાં, જવાબદાર વિભાગો એકબીજા પર દોષારોપણ
કરીને કામગીરી ટાળી રહ્યા છે. શહેરની છબી ખરડતા આ પ્રવેશ માર્ગનું તાત્કાલિક સમારકામ
કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. જો વહેલી તકે ખાડા પૂરવામાં નહીં આવે તો મોટા અકસ્માતની
ભીતિ સેવાઈ રહી છે.









