મૂળ ભાણવડના માતા - પુત્રનું પણ વિમાની દુર્ઘટનામાં મૃત્યુ
- જામનગરમાં વધુ એક તબીબના માતા પણ સામેલ
- માતા-પુત્ર એક મહિના પહેલા લંડનથી આવ્યા હતા, પણ પરત પહોંચી શક્યા નહીં, પરિવારમાં શોકનું મોજું
જામ ખંભાળિયા : અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઈટ અકસ્માતગ્રસ્ત થતા ૨૪૦ જેટલા યાત્રિકોના અકાળે અવસાન થયા છે. જેમા મૂળ ખાંભોદરના અને હાલ ભાણવડ ખાતે રહેતા રિધિૃધબેન હરીશભાઈ ગોઢાણીયા (ઉ.વ. ૨૫) તથા તેમના આશરે ત્રણ વર્ષના પુત્ર કિયાનનું પણ નિધન થયાનું સામે આવ્યું છે. આશરે એક માસ પૂર્વે લંડનથી તેઓ અહીં આવ્યા હતા. જે ગઈકાલે ગુરુવારે પરત જવા રવાના થતા કમનસીબે આ દુર્ઘટના સર્જાઇ હતી. મૃતક મહિલાના પતિ હરીશભાઈ લંડન ખાતે સૃથાયી થયા હોવાનું જાણવા મળેલ છે. માતા-પુત્રના અકાળે અવસાનથી તેમના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. આ ઉપરાંત જામનગરથી રવાના થયેલાં નેહલબેન અને તેમના પતિ શૈલેષભાઈ પરમારનું મૃત્યુ થયું હતું, એ સાથે જામનગરના ડો. હિમાંશુ પેશાવરીયાના માતા વસંતબેન શાંતિલાલ પેશાવરિયાનું પણ મૃત્યુ થયાનું ખુલવા પામ્યું છે. તેમની પુત્રી દીપાબેન છત્રાલા લંડનમાં રહે છે. છેલ્લાં કેટલાક સમયથી પુત્રીને મળવાની ઈચ્છા હતી, આખરે ૧૨ તારીખે લંડન જવા માટે ફાયનલ થયું હતું. તેઓ વડોદરામાં રહેતા પુત્રના ઘરે હતા, અને ત્યાંથી ગઈકાલે અમદાવાદ એરપોર્ટ ઉપર ગયા હતા. લંડન જવા માટેની હવાઈ મુસાફરી શરૂ કરી હતી, પરંતુ થોડી ક્ષણોમાં જ આ વિમાન ક્રેશ થતા વસંતબેનનું પણ મૃત્યુ થયું છે.