સુરતના બાગેશ્વર ધામના કાર્યક્રમમાં બે લાખથી વધુ લોકો ભેગા થવાનો અંદાજ
સુરત,તા.22 મે 2023,સોમવાર
બાગેશ્વર સરકાર આયોજન સમિતિ સુરત દ્વારા આગામી તારીખ 26 અને 27 મેના રોજ નીલગીરી મેદાન, લીંબાયત, સુરત ખાતે આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીજીનો દિવ્યદરબાર દિવ્ય પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં બે લાખથી વધુ લોકો ભેગા થશે તેવો અંદાજ આયોજન સમિતિએ દર્શાવ્યો છે.
આ અંગે આયોજન સમિતિએ આજે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું અને તેમાં કાર્યક્રમ અંગેની માહિતી આપી હતી.
લિંબાયતના ધારાસભ્ય અને આયોજન સમિતિના સંગીતા પાટીલએ હતું કે આ દિવ્ય દરબારના કાર્યક્રમમાં બે થી અઢી લાખ લોકો ભેગા થાય તેવો અંદાજ છે. અને તે પ્રમાણે આયોજન પણ કરવામાં આવી રહ્યું છે.
વધુમાં આયોજન સમિતિ દ્વારા જણાવવામાં આવે છે કે આ કાર્યક્રમ પાર પાડવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેમાં ધર્મપ્રેમી જનતાની બેઠક વ્યવસ્થા માટે વિશાળ 20 બ્લોક બનાવવામાં આવશે. જેમાં ટોટલ 7,20,000 સ્ક્વેર ફીટ ગ્રાઉન્ડ કવર કરવામાં આવનાર છે. આ 20 બ્લોકમાં ટોટલ 1,75,000 શ્રોતાઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે
જેમાં શ્રોતાઓને ઠંડા પાણીની પણ વ્યવસ્થા રાખવામાં આવનાર છે. તેમ જ કુલ 6 જગ્યાએ નિશુલ્ક પાર્કિંગની વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવેલ છે. 100×40 ફૂટનો સ્ટેજ બનાવવામાં આવનાર છે તથા 5000 સ્ક્વેર ફૂટથી વધારે જગ્યાને કવર કરતા એલઈડી સ્ક્રીન પણ લગાવવામાં આવી છે.
જોકે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી કે પ્રદેશ પ્રમુખ હાજર રહેશે કે નહીં તે અંગે આયોજન સમિતિએ કોઈ ફોડ પાડ્યો નથી. આ ઉપરાંત સમગ્ર કાર્યક્રમમાં ભાજપના નેતાઓ હોવા છતાં કાર્યક્રમ રાજકીય નથી પણ ધાર્મિક હોવાનો દાવો કરવામાં આવ્યો છે.