Get The App

ઉત્તરાયણ પર્વ પર સુરેન્દ્રનગર જિલ્લામાં 125 થી વધુ પક્ષી ઘાયલ છ નવના મોત

Updated: Jan 15th, 2025

GS TEAM

Google News
Google News
ઉત્તરાયણ પર્વ પર સુરેન્દ્રનગર જિલ્લામાં 125 થી વધુ પક્ષી ઘાયલ છ નવના મોત 1 - image


- માણસોની મજા પક્ષીઓ માટે બની સજા

- હાલ 60 જેટલા પક્ષીઓ સારવાર હેઠળ : 50 થી વધુ પક્ષીઓેને સારવાર આપી જીવ બચાવવામાં આવ્યા

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં કરૂણા અભિયાન અંતર્ગત  ૧૦થી ૧૫ જાન્યુઆરી સુધીમાં અંદાજે ૧૨૫થી વધુ પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ થયા હતાં. જેમાં અંદાજે ૦૯થી વધુ પક્ષીઓના મોત પણ નીપજ્યાં હતા. હાલ ૬૦ જેટલા પક્ષીઓ સારવાર કેન્દ્ર ખાતે ટીમ દ્વારા સારવાર લઈ રહ્યાં છે. અભિયાન અંતર્ગત ૧૫ ડોકટરોની ટીમ, ૮૦થી વધુ જીવદયા પ્રેમીઓ અને ૧૦થી વધુ વાહનોની મદદ લેવામાં આવી હતી.  

ઉત્તરાયણનાં દિવસે લોકો એકબીજાનાં પતંગો કાપી ચીચીયારી બોલાવતા હોય છે. તો સાથો સાથ યુવાધન એકબીજાના પતંગ કાપવા માટે શક્ય તેટલી મજબુત દોરી બનાવડાવતા હોય છે. તેવામાં આ મજા અબોલ જીવ માટે સજા બની જતી હોય છે. તેના માટે કરૂણા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ વર્ષે સુરેન્દ્રનગરમાં અલગ અલગ ૧૦ જગ્યા ઉપર કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે અને હેલ્પલાઈન નંબર જાહેર કરવામ આવ્યા હતા.  

કરૂણા અભિયાન અંતર્ગત જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ, વન વિભાગ, પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે ઉતરાયણ પર્વ પર તા.૧૦ જાન્યુઆરીથી ૨૦મી જાન્યુઆરી સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.૧૦ જાન્યુઆરીથી ૧૩ જાન્યુઆરી સુધીમાં શહેરી વિસ્તારમાં અંદાજે ૩૫ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૫થી વધુ મળી કુલ ૫૦થી વધુ પક્ષીઓ દોરીથી ઈજાગ્રસ્ત થયા હતા જેઓને સારવાર આપી જીવ બચાવવામાં આવ્યા હતા.

જ્યારે તા.૧૪ જાન્યુઆરીને ઉતરાયણને દિવસે કુલ ૫૨ જેટલા પક્ષીઓ જીવલેણ દોરીથી ઈજાગ્રસ્ત થયા હતા જે અંગે સારવાર કેન્દ્ર પર જાણ કરવામાં આવતા ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચતા ૦૬ પક્ષીઓ સ્થળ પર જ મૃત હાલતમાં જોવા મળ્યા હતા. જ્યારે અન્ય ૦૩ પક્ષીઓના સારવાર દરમ્યાન મોત નીપજ્યા હતા. તેમજ ૦૩ પક્ષીઓને સારવાર આપ્યા બાદ મુક્ત કરવામાં આવ્યા હતા અને હાલ ૪૦ જેટલા પક્ષીઓ સારવાર કેન્દ્ર ખાતે ટીમ દ્વારા સારવાર લઈ રહ્યાં છે. આ ઉપરાંત તા.૧૫ જાન્યુઆરીના રોજ બપોરના ૪-૦૦ વાગ્યા સુધીમાં જીવલેણ દોરીથી અંદાજે ૨૦થી વધુ પક્ષીઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા જેમની સારવાર હાલ શરૂ છે. 

આમ ચાલુ વર્ષે જિલ્લામાંથી તા. ૧૦થી ૧૫ જાન્યુઆરી સુધીમાં અંદાજે ૧૨૫થી વધુ પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ થયા હતાં અને અંદાજે ૦૯થી વધુ પક્ષીઓના મોત પણ નીપજ્યાં હતા. આ કામગીરીમાં ૧૫ ડોકટરોની ટીમ તેમજ ૮૦થી વધુ જીવદયા પ્રેમીઓ અને ૧૦થી વધુ વાહનોની મદદ લેવામાં આવી હતી.  


Tags :