Get The App

હીરા ઉદ્યોગમાં મંદી: નવસારીમાં 6 માસમાં 10થી વધુ રત્નકલાકારની આત્મહત્યા

Updated: Jun 3rd, 2025

GS TEAM

Google News
Google News
હીરા ઉદ્યોગમાં મંદી: નવસારીમાં 6 માસમાં 10થી વધુ રત્નકલાકારની આત્મહત્યા 1 - image


Navsari News : નવસારીમાં હીરા ઉદ્યોગમાં મંદીના કારણે ઘરપરિવારનું ભરણપોષણ કરવામાં તકલીફ પડતાં વિતેલા 6 મહિનામાં 10 થી વધુ રત્નકલાકારોએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે.રશિયા-યુક્રેન યુઘ્ધનાં કારણે હીરા ઉદ્યોગને કાચો માલ મળવાની તકલીફ શરૂ થતા મંદીનો માહોલ છવાયો હતો. જેની અસર કારીગરની આવક ઉપર પડી હતી. મહિને રૂ.25 થી 30 હજાર કમાવનાર કારીગર હાલમાં તેનાથી અડધી આવક સુઘ્ધા મેળવી શકતો નથી. 

કારણ કે કારખાનામાં કાચો માલ ઓછો આવતા તેમણે ઉત્પાદન ઘટાડી દીઘુ, ત્રણને બદલે બે શીફટમાં કામ લેવાનું શરૂ કર્યું. કારીગરની સંખ્યા ઘટાડી, ઓવર ટાઈમ બંધ થયો. જેના કારણે કેટલાંક રત્નકલાકાર બેરોજગાર બન્યા જ્યારે કેટલાંક ઘરનો ખર્ચો ચલાવવા, બાળકોની સ્કૂલ ફી ભરવા, માંદગીની વેળા, ઘરનો હપ્તો, વાહનની લોનનો હપ્તો ભરવા માટે વ્યાજે રૂપિયા આપનારા પાસેથી રૂપિયા લઈ દેવુ કર્યું હતું. 

જેની પઠાણી ઉઘરાણી થતા અને બેંકના હપ્તા ભરી નહી શકાતા નોટિસો મળવાથી માનસિક રીતે કંટાળી જઈને આત્મહત્યા કરવાની દિશામાં ડગલા ભરવા માંડ્યા હતા. વિતેલા 6 મહિનામાં 10 થી વધુ રત્નકલાકારોએ આત્મહત્યા કરી હતી. જેના લીધે તેમના પરિવારનો આધાર જતો રહ્યો છે. નવસારીમાં નામાંકિત કંપનીઓ સહિત નાના મોટા 50 હીરાનાં કારખાનાઓ છે. જેમાં નવસારી સહીત આજુબાજુના ગામોથી રત્નકલાકારો રોજગારી મેળવવા આવે છે. 

અંદાજે 25 થી 30 હજાર કારીગરો નવસારીમાં હીરા ઘસવાનું કામ કરતા હતા. શહેરનાં સતાપીર, શાંતાદેવી રોડ, લીમડા ચોક ખાતે હીરા બજારમાં ચહલ પહલ રહેતી હતી. તે હવે ગાયબ થઈ છે. આ અગાઉ પણ ચાઈનીઝ હીરાનાં લીધે મંદી વિશ્વમાં પ્રસરી હતી. કારણ કે ઓરીજીનલ હીરાને ભુલાવે તેવો ચાઈનીઝ હીરા રૂ.6 થી 7 હજારમાં મળતા થયા હતા. ઓરીજીનલ હીરાની કિંમત રૂ.15 થી 20 હજાર હતા. હાલમાં ચાઈનીઝ હીરા રૂ.1500 થી 2000 સુધી આવી ગયાનું કહેવાય છે. 

સરકારે આર્થિક રાહત પેકેજની જાહેરાત કરી છે પણ અમારી પાસે નક્કર કંઇ આવ્યું નથી : નવસારી ડાયમંડ એસો. 

હીરા ઉદ્યોગમાં મંદીના કારણે આર્થિક સંકળામણથી કંટાળી આત્મહત્યા કરનાર રત્નકલાકારો સહીતનાં માટે રાજ્ય સરકારે આર્થિક રાહત પેકેજની જાહેરાત અંગે નવસારી ડાયમંડ એસો.નાં પ્રમુખ જગમલભાઈ દેસાઈએ કહ્યું કે, જાહેરાત તો કરાઈ છે. પરંતુ હજી અમારી પાસે નક્કર કંઈ આવ્યું નથી. વધુમાં કહ્યું કે પેકેજમાં ઓછા વ્યાજદરની લોન, વીજબીલમાં રાહત, રત્નકલાકારોના બાળકોની સ્કૂલ ફી જેવા મુદ્દાઓ છે. નાના કારખાનાવાળા લોકોને વધુ તકલીફ છે. સરકારી સહાય અંગેના નિયમો સરળ અને હળવા રહેશે તો વધુ સારી વાત છે. 

Tags :