હાઇવે પર અકસ્માતમાં ઘાયલ મોપેડ સવારનું મોત

વડોદરા,હાઇવે પર વાઘોડિયા ચોકડીથી આજવા ચોકડીની વચ્ચે અજાણ્યા વાહન ચાલકની ટક્કરે મોપેડ સવાર પ્રૌઢને ગંભીર ઇજા થઇ હતી. જેઓનું સારવાર દરમિયાન મોત થયું છે.
વારસિયા જૂના આર.ટી.ઓ. પાસે અંજલિ સોસાયટીમાં રહેતા ૫૨ વર્ષના ગોપાલદાસ ગ્યાનચંદ ગોસ્વામી ગત ૧૪ મી તારીખે મોપેડ લઇને વાઘોડિયા ચોકડી પાસે રહેતા મિત્રના ઘરે ગયા હતા. ત્યાંથી તેઓ ઘરે પરત આવી રહ્યા હતા. તે દરમિયાન વાઘોડિયા ચોકડીથી આજવા ચોકડી તરફ જવાના રસ્તા પર અજાણ્યા વાહન ચાલકે તેઓના મોપેડને ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. તેઓને માથા, ખભા અને પગ પર ગંભીર ઇજા થતા તેઓ બેભાન થઇ ગયા હતા. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે માંજલપુરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. મૃતકના પુત્રની ફરિયાદના આધારે કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી હતી.









