Get The App

મોબાઈલ હવે 'આંખ' બગાડશે, 2050 સુધીમાં 50% બાળકોને ચશ્માની જરૂર પડશે

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
Vision problems in children


(AI IMAGE)

Vision problems in children: અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરમાં શાળાએ જતાં બાળકોમાં માયોપિયા એટલે કે આંખોમાં નંબરના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. મોબાઇલ સ્ક્રીનનો ઉપયોગ જે રીતે વધી રહ્યો છે એ જોતાં વર્ષ 2050 સુધીમાં 50 ટકા બાળકોને ચશ્માની જરૂર પડશે તેવી ઓલ ગુજરાત ઓપ્થેલમોજીકલ સોસાયટી દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 

માયોપિયા શું છે?

માયોપિયા એ આંખનો એવો રોગ છે જેમાં વ્યક્તિને નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય છે પણ દૂરની વસ્તુ ઘૂંધળી દેખાય છે. આંખનો આકાર સામાન્ય કરતાં થોડો લાંબો થવાથી અથવા કોર્નિયા વધારે વાંકાં થવાથી પ્રકાશ રેટિના પર યોગ્ય રીતે ફોકસ નહીં થવાથી આ સમસ્યા થાય છે. 

ગુજરાતના શહેરી વિસ્તારોમાં 20% બાળકો માયોપિયાનો શિકાર

ઓલ ગુજરાત ઓપ્થેલમોજીકલ સોસાયટીના ડૉક્ટરોના મતે ગુજરાતના શહેરી વિસ્તારના 15થી 20 ટકા બાળકોમાં માયોપિયા જોવા મળી રહ્યો છે. મોબાઇલ સ્ક્રીનનો ઉપયોગ આ માટે મુખ્ય કારણ ગણાય છે. આજથી બે દાયકા અગાઉ અંદાજે પાંચ ટકા બાળકોમાં જ માયોપિયાની સમસ્યા હતી અને હવે તેમાં સતત વધારો થઇ રહ્યો છે. 

આ પણ વાંચો: ઐતિહાસિક પહેલ : ચેક રિટર્ન થાય તો તાત્કાલિક ઓનલાઈન ચૂકવણી કરી કેસનો નિકાલ થઇ શકશે

સારવારમાં વિલંબ રેટિના સંબંધિત કાયમી બીમારી નોતરી શકે છે

ડૉક્ટરોના મતે જો સમયસર સારવાર મળે નહીં તો માયોપિયા વધી શકે છે અને રેટિના સંબધિત ગંભીર રોગ થવાનું જોખમ રહે છે. બાળક દૂરની  વસ્તુ જોવામાં સમસ્યા નડી રહી હોવાની ફરિયાદ કરે તો માતા-પિતાએ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઇએ. બાળકો સ્ક્રીન ટાઇમ ઘટાડીને આઉટડોર સ્પોર્ટ્‌સને પણ પૂરતો સમય આપે તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આગામી 7-8 ફેબ્રુઆરીના રોજ ઓલ ગુજરાત ઓપ્થેલમોજીકલ સોસાયટી દ્વારા સમિટ યોજાશે. જેમાં દેશના 400થી વઘુ ડૉક્ટર ભાગ લેશે.

મોબાઈલ હવે 'આંખ' બગાડશે, 2050 સુધીમાં 50% બાળકોને ચશ્માની જરૂર પડશે 2 - image