ગાંધીનગર એસટી ડેપોમાં ૨ મુસાફરના મોબાઈલ ચોરાયા

અવરજવર કરતા મુસાફરોની સુરક્ષા માટે તંત્ર દ્વારા ક્યારે આયોજન હાથ ધરવામાં આવશે
રાજ્યના પાટનગરમાં આવેલા એસટી ડેપોમાં રોજના અસંખ્ય મુસાફરો
આવન-જાવન કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા સીસીટીવી મૂકવામાં આવ્યા છે.પરંતુ
શોભાના ગાંઠિયા સમાન બની ગયા હોય તે પ્રકારે અવાર નવાર મુસાફરોને ચોરી તસ્કરીનો
સામનો કરવો પડે છે. વેકેશન તેમજ રજાના અને સામાન્ય દિવસોમાં ગઠીયા સક્રિય થઈ જાય
છે અને મુસાફરોને નિશાન બનાવીને પલાયન થઈ જાય છે. તો બીજી તરફ શુક્રવારે સાંજના
સમયે મુસાફરના મોબાઈલ ચોરી કરીને ગઠીયા ફરાર થઈ ગયા હતા.બંને મુસાફરના કીમતી
મોબાઈલ ચોરાયા હતા. ભીડનો લાભ લઈને બસમાં બેસવા જઈ રહેલા મુસાફરના મોબાઈલ ચોરાઈ
જતા મુસાફરોમાં પણ ભયનો માહોલ છવાયો છે. સીસીટીવી હોવા છતાં ગઠિયાઓ કળા કરીને ફરાર
થઈ જાય છે.ત્યારે સાંજના સમયે બસમાં બેસવા જઈ રહેલા એક મુસાફરના રૃપિયા એક લાખ તથા
અન્ય એક મુસાફરનો રૃપિયા ૧.૨૦ લાખનો મોબાઈલ ચોરાયો છે.
શહેરી અને ગ્રામ્ય વિસ્તારની બસોમાં મુસાફરી કરવા માટે આવતા મુસાફરોને હાલમાં અસુરક્ષિત રીતે મુસાફરી કરવાની નોબત આવી છે.તંત્ર દ્વારા મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખીને ડેપોમાં દિવસ દરમિયાન પોલીસ પહેરો ગોઠવવામાં આવે તો મુસાફરો પણ સુરક્ષિત રીતે આવન-જાવન કરી શકે એમ છે.અવારનવાર મુસાફરોને ગઠિયાઓ નિશાન બનાવતા હોવા છતાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં નહીં આવતા હાલમાં ગાંધીનગર ડેપોમાં આવતા મુસાફરો રામભરોસે મુકાઈ ગયા છે.








