Gujarat

બાવળામાં પાલિકા પ્રમુખના ઘરે ટોળાનો હંગામો : બારીઓ પછાડી ધમકી

By GS TEAM
20 Sep 20252 mins read
બાવળામાં પાલિકા પ્રમુખના ઘરે ટોળાનો હંગામો : બારીઓ પછાડી ધમકી

- બે શખ્સો સામે નામજોગ સહિત 50 ના ટોળા વિરૂદ્ધ ફરિયાદ

- બળિયાદેવમાં કેડ સમા પાણી, રોડ ખરાબ તમારા કારણે થયા છે કહી ટોળાની હાથ પગ ભાંગી નાખવા ધમકી

બગોદરા : અમદાવાદ ગ્રામ્યના બાવળામાં નગરપાલિકાના પ્રમુખ પ્રજ્ઞાાબેન આશિષભાઈ પટેલના ઘરે ટોળાએ ધસી આવીને હંગામો મચાવ્યો હતો. આ ઘટના તા. ૧૮મીને ગુરૂવારે બની હતી. આ મામલે પોલીસે કૃણાલસિંહ પરમાર અને મયુરધ્વજસિંહ ડાભી સહિત અજાણ્યા ૪૦ થી ૫૦ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

બાવળા નગરપાલિકાના પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ ખરીદી કરવા માટે બહાર ગયા હતા. ત્યારે તેમની સોસાયટીમાં રહેતી બહેને ફોનમાં જણાવ્યું હતું કે, કેટલાક સ્ત્રી-પુરુષોનું ટોળું તેમના ઘરના બારી-બારણાં પછાડી રહ્યા છે અને અપશબ્દો બોલી રહ્યા છે. ?પ્રજ્ઞાબેન તરત જ ઘરે પહોંચ્યા અને બાવળા પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. કૃણાલસિંહ પરમાર અને મયુરધ્વજસિંહ ડાભી લગભગ ૪૦થી ૫૦ લોકોનું ટોળું લઈને આવ્યા હતા અને તેમના ઘરના દરવાજા અને બારીઓ પછાડી રહ્યા હતા. આ સમયે સોસાયટીના ચેરમેન અને અન્ય પાડોશીઓ પણ ત્યાં હાજર હતા.  ?પ્રજ્ઞાાબેને ટોળાને નગરપાલિકાની ઓફિસે આવીને રજૂઆત કરવાનું કહ્યું હતું. ત્યારે પરંતુ કૃણાલસિંહ અને મયુરધ્વજસિંહ સહિત ટોળાએ મોટેથી અપશબ્દો બોલ્યા હતા. અને  બળીયાદેવમાં કેડ સમાણા પાણી ભરેલા છે તથા ગર્લ્સ સ્કૂલ રોડ તથા બાવળાના બીજા રોડ ખરાબ હાલતમાં છે જે બધુ તમારા કારણે થયુ છે કહી ?ટોળાએ માર મારવાની અને હાથ-પગ ભાંગી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસની દરમિયાનગીરી બાદ ટોળું ત્યાંથી નીકળી ગયું હતું. 

પ્રજ્ઞાબેને આ સમગ્ર ઘટના અંગે કૃણાલસિંહ પરમાર અને મયુરધ્વજસિંહ ડાભી સહિત ૪૦થી ૫૦ના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.